મધ્યપ્રદેશમાં રાતોરાત સરકારી બંગલો થયો ગાયબ, કોંગ્રેસ લગાવ્યો આ મોટો આરોપ
![Government bungalow disappeared overnight in Madhya Pradesh, Congress made this big allegation](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/DTB-2024-01-06T212435.000.jpg)
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વૈભવી વિસ્તાર ગણાતા 74 બંગલોમાં બંગલા નંબર B-9 ખોવાઇ ગયો છે. જી હાં, તમે બરાબર જ વાંચ્યું. એક આખેઆખો બંગલો ખોવાઇ થઇ ગયો છે, કોઇને મળી નથી રહ્યો. આ વિસ્તારમાં ક્રમબદ્ધ બંગલા છે. B-8 સુધીની શ્રેણીમાં તમામ બંગલા છે, પરંતુ B-8 પછી સીધો B-10 આવી જાય છે, એટલે કે વચ્ચેનો B-9 નંબરનો બંગલો ગાયબ થઇ ગયો છે.
પૂર્વ પ્રધાન સજ્જન સિંહ વર્માએ આરોપ મુક્યો છે કે રાજધાનીના સૌથી સુરક્ષિત વિસ્તારમાંથી એક બંગલાની ચોરી થઈ છે. પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ પર તેમણે અતિક્રમણનો આરોપ લગાવતા કહ્યું હતું કે જો શિવરાજ સિંહ B8માં રહે છે તો તેમને નજીકના બંગલા પર કબજો કરવાનો અધિકાર કોણે આપ્યો.
સજ્જન સિંહે આક્ષેપ કરતા કહ્યુ હતું કે મંત્રી અને ધારાસભ્ય પાસે બંગલા નથી. એવામાં પૂર્વ મુખ્યપ્રધાને પોતાની સુવિધા માટે પાડોશીના બંગલા પર અતિક્રમણ કર્યું અને નંબર B9 ગાયબ કરી દીધો. કોંગ્રેસનો આરોપ છે કે શિવરાજ જ્યારે સીએમ હતા ત્યારે તેમણે આ બંગલા પર 25 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો.
તમને યાદ અપાવી દઈએ કે સીએમ હાઉસમાંથી બહાર નીકળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, કેટલીકવાર રાજ્યાભિષેક પહેલા જ વનવાસ થઈ જાય છે. હવે મારી નવી જગ્યા B8 74 બંગલો હશે. શિવરાજ સિંહે આ સરકારી બંગલાને ‘મામાનું ઘર’ નામ આપ્યું છે. બંગલાનું નામ બદલવા અંગે કોંગ્રેસે ટિપ્પણી કરતા કહ્યું હતું કે સરકારી બંગલાનું નામ રાખવાનો અધિકાર મુખ્યમંત્રીને છે પરંતુ તે શિવરાજ સિંહ ચૌહાણને કોણે આપ્યો.
શિવરાજસિંહ ચૌહાણ હતાશામાં આવી ગયા છે અને સરકારી મિલકતો પર કબજો જમાવી રહ્યા છે. અતિક્રમણ કરવાની તેમને આદત પડી ગઈ છે, તેવું સજ્જન સિંહે જણાવ્યું હતું.