
નવી દિલ્હી: દેશમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે હોસ્પિટલોને INTENSIVE CARE UNIT (ICU) હેઠળ દર્દીઓને અપાતી સારવાર માટે દર્દીની જરૂરિયાતને આધારે નિર્ણયો લેવા માર્ગદર્શિકા બહાર પાડી છે. ક્રિટિકલ કેર મેડિસિનમાં વિશેષતા ધરાવતા 24 ટોચના ડૉક્ટરની પેનલ દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
પેનલે અમુક તબીબી પરિસ્થિતિઓની સૂચિ બનાવી છે જેના અંતર્ગત દર્દીને ICUમાં રાખવાની જરૂર છે. દર્દીને શ્વાસ લેવામાં મદદની જરૂર હોય તો તેવી બાબતોનો પણ તેમાં સમાવેશ થાય છે. સઘન દેખરેખની જરૂર હોય તેવા કોઈપણ દર્દી માટે ગંભીર બીમારીના કિસ્સામાં પણ ICU કેરની ભલામણ કરવામાં આવી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, સર્જરી પછી જો દર્દીની સ્થિતિ વધુ બગડી રહી હોય અને મોટી સર્જરીની તકલીફ હોય તેવા લોકોને આઈસીયુમાં દાખલ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. એ પ્રકારના દર્દીઓ કે જેમને તેની કોઇ ખાસ જરૂરિયાત નથી, અથવા તેમની સ્થિતિમાં સુધારણા માટે કોઈ નોંધપાત્ર અવકાશ નથી તે દર્દીઓને આ સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ દિશાનિર્દેશો બનાવવામાં સામેલ એક નિષ્ણાતે કહ્યું કે ICU એક મર્યાદિત સંસાધન છે. આ ભલામણોનો હેતુ તેનો ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. જેથી જે દર્દીઓને તેની સૌથી વધુ જરૂર હોય તેમને તે પ્રાથમિકતા પર મળે.”
જો કે, આ માર્ગદર્શિકા તબીબોને બંધનકર્તા નથી, તેનું પાલન કરવું એ તબીબોની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવ્યું છે. મોટાભાગના વિકસિત દેશોમાં ICU માં પ્રવેશ અને ડિસ્ચાર્જ માટેના માપદંડો તથા દર્દીઓના પરીક્ષણ માટેના નિયમો હોય છે જેથી સંસાધનોનો ન્યાયપૂર્વક ઉપયોગ કરી શકાય.
નોંધનીય છે કે ભારતમાં માત્ર 1 લાખ આઈસીયુ બેડ છે. જેમાંથી મોટા ભાગની ખાનગી સુવિધાઓમાં છે અને મોટા શહેરોમાં સ્થિત છે. ખાનગી હોસ્પિટલો જેમને પરવડી ન શકે તેવા ગરીબ લોકોને ICU બેડ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.
આ માર્ગદર્શિકા અનુસાર, દર્દીઓને તેમની બીમારીની સ્થિતિના આધારે ICU સંભાળ માટે પ્રાથમિકતા આપવાનો વિચાર આપત્તિ અથવા રોગચાળાના કિસ્સામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હાલમાં, સરકારે બધાને જટિલ સંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ. ખાનગી હોસ્પિટલોમાં ICU બેડની કિંમત સામાન્ય બેડ કરતા 5-10 ગણી વધારે છે. ભૂતકાળમાં પણ ICUમાં દર્દીઓને બિનજરૂરી દાખલ કરવાની ફરિયાદો ઉઠી છે.