પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 5 શ્રમિકોના મોત

ચંડીગઢ: ગત રાત્રે પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડાની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ પરપ્રાંતીય કામદારોના મોત (Blast in Firecracker factory) થયા છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે ભટિંડાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવું છે.
એહવાલ મુજબ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે અનેક કામદારો કાટમાળ નીચે દબાઈ ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, સ્થાનિક અધિકારીઓ, ફાયર સર્વિસીસ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે હાજર છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે કામ કરી રહી છે.
હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી પણ ફેક્ટરીમાં કામ કરતા મોટાભાગના કામદારો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે. વિસ્ફોટ થતાં જ ફેક્ટરીના કામદારોમાં બુમો પડી ઉઠ્યા હતાં અને વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના લાંબી વિધાનસભા ક્ષેત્રના સિંઘવાલા ગામમાં બની હતી. આ ફેક્ટરી તરસેમ સિંહના નામે નોંધાયેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ રાત્રે સૂતા હતા, ત્યારે જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો.
સિંઘાવલી-કોટલી રોડ પર આવેલી બે માળની ફેક્ટરીમાં વિસ્ફોટના સમાચાર મળતા જ પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વિસ્ફોટની ઘટના બાદ કોન્ટ્રાક્ટર ફરાર થઇ ગયો છે. પોલીસ આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.
આપણ વાંચો: Not a single project…! સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર જાહેરમાં આ શું બોલ્યા વાયુસેનાના વડા?
ગુજરાતમાં તાજેતરમાં બની હતી આવી જ ઘટના:
એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર નજીક એક ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 21 કામદારોના મોત થયા હતાં. આ ગોડાઉનમાં ગેરકાયદે રીતે ફટાકડાનું સ્ટોરેજ અને વેચાણ કરવામાં આવતું હતું.
આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બની છે, જેમાં સામાન્ય રીતે શ્રમિકોના મોત નીપજતા હોય છે.