કોરોનાનો નવો વેરિઅન્ટ XFG: ICMRના પૂર્વ વડાનો ખુલાસો, શું રાખશો સાવચેતી?

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોવિડ-19નું કારણ બનનારા વાયરસના નવા એક્સએફજી વેરિઅન્ટનો ઉદભવ સાર્સ-સીઓવી-2ના કુદરતી વિકાસનો હિસ્સો છે. ભારતમાં આ વેરિઅન્ટ સાથે જોડાયેલા 200થી વધુ કેસ નોંધાયા છે.
ડોક્ટર ભાર્ગવ કોવિડ-19 મહામારી દરમિયાન દેશના પ્રતિભાવનું સંચાલન કરવામાં સૌથી આગળ રહેનારી ટીમનો હિસ્સો હતા. તેમણે કહ્યું હતું કે એક્સએફજી વેરિઅન્ટનો ઉદ્દભવ સાર્સ-સીઓવી-2 વાયરસનો કુદરતી વિકાસનો હિસ્સો છે.
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 11 જૂન સુધીમાં ભારતમાં એક્ટિવ કોરોના વાયરસના કેસનો આંકડો 7000ને વટાવી ગયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં છ મૃત્યુ નોંધાયા છે.
ભારતીય સાર્સ-સીઓવી-2 જીનોમિક્સ કન્સોર્ટિયમના તાજેતરના ડેટા અનુસાર 206 કેસ એક્સએફજી વેરિઅન્ટ સાથે જોડાયેલા છે, જેમાં સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં 49 કેસ નોંધાયા છે.
ડો. ભાર્ગવે જણાવ્યું હતું કે સાર્સ-સીઓવી-2 (જે કોવિડ-19નું કારણ બને છે) ના એક્સએફજી વેરિઅન્ટમાં પરિવર્તન આવે છે જે માનવ કોષો સાથે જોડાઈ જવાની અને રોગપ્રતિકારક સંરક્ષણને બાયપાસ કરવાની તેની ક્ષમતામાં સુધારો કરી શકે છે. શરૂઆતના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ વેરિઅન્ટમાં રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા વધુ છે, પરંતુ (રોગની) ગંભીરતામાં વધારો સૂચવતા કોઈ વર્તમાન પુરાવા નથી.
એક્સએફજી વેરિઅન્ટના કારણે કેરળ (15), તમિલનાડુ (16), ગુજરાત (11), મધ્યપ્રદેશ (6), આંધ્રપ્રદેશ (6), ઓડિશા (4), પુડુચેરી (3), દિલ્હી (2), રાજસ્થાન (2), અને પંજાબ, તેલંગણા અને હરિયાણા (એક-એક)માં કેસ નોંધાયા છે.
જોકે, હૃદય રોગના નિષ્ણાંતોએ કહ્યું કે જે રીતે વાયરસ પોતાને બદલી રહ્યો છે એ રીતે મહામારીની પ્રથમ લહેર બાદ ભારતનું ડાયગ્નોસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બદલાઇ ગયું છે અને આરટી-પીસીઆર ટેસ્ટ તેનો આધારસ્તંભ રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે ટ્રુનેટ જેવા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ એક ઝડપી મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે નિદાન માટે આરટી-પીસીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જે ભારતને ઝડપથી ઉભરતા વેરિઅન્ટને શોધવા અને તેને નિયંત્રિત કરવા માટે મજબૂત સ્થિતિમાં મૂકે છે.
ભાર્ગવે કહ્યું હતું કે “અત્યારે તકેદારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગભરાવાની જરૂર નથી. જેમ આપણે ભૂતકાળમાં કર્યું છે તેમ, આપણે લક્ષણો દેખાય ત્યારે ટેસ્ટ ચાલુ રાખવા જોઈએ, ભીડવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવું જોઈએ અને રસીકરણ સાથે અપડેટ રહેવું જોઈએ.
આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલા કોવિડ-19 કેસોમાં ભારતમાં 74 લોકોના મોત થયા છે. કેરળ 2,200થી વધુ કેસ સાથે સૌથી વધુ પ્રભાવિત છે, ત્યારબાદ ગુજરાત (1223) અને દિલ્હી (757) આવે છે.
આ પણ વાંચો…કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…