પઠાણકોટમાં એર ફોર્સના હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ, જાણો સમગ્ર મામલો

પઠાનકોટ: અમદાવાદમાં બોઈંગ કંપનીના એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનામાં સેંકડો લોકો મૃત્યુ થયા છે, ત્યાં આજે વધુ એક પંજાબના પઠાનકોટમાં બોઈંગ કંપનીનું હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટના નંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હલેર ગામમાં બની, જ્યાં હેલિકોપ્ટરે ખેતરમાં અચાનક લેન્ડિંગ કર્યું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વાયુસેનાના અધિકારીઓએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના આજે બની હતી, જ્યારે ભારતીય વાયુસેનાનું અપાચે AH-64E હેલિકોપ્ટર, જે પઠાનકોટ એરબેઝથી ઉડાન ભર્યું હતું, તેને ટેકનિકલ ખામીને કારણે હલેર ગામના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પાયલટ્સે સમયસર અને સાવચેતીભર્યું પગલું લઈને હેલિકોપ્ટરને સુરક્ષિત ઉતાર્યું. આ ઘટનામાં બંને પાયલટ સુરક્ષિત અને આસપાસના વિસ્તારને પણ કોઈ નુકસાન થયું નથી.
અપાચે AH-64E હેલિકોપ્ટર વિશ્વના સૌથી અદ્યતન લડાયક હેલિકોપ્ટરોમાંનું એક છે, જે ભારતે 2015માં અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ખરીદ્યું હતું. 2019માં આ હેલિકોપ્ટરો પઠાનકોટ એરબેઝ ખાતે 125 હેલિકોપ્ટર સ્ક્વોડ્રન ‘ગ્લેડિયેટર્સ’માં સામેલ કરાયા. આ પહેલાં પણ 2020માં હોશિયારપુરમાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં ટેકનિકલ ખામીને કારણે અપાચે હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, પરંતુ તેમાં પણ કોઈ નુકસાન થયું નહોતું.
આ પણ વાંચો - ઈરાન-ઈઝરાયલ તણાવની ભારત પર અસર, એર ઇન્ડિયાએ ફ્લાઈટ્સ પરત બોલાવી
આ ઘટના બાદ સેનાની ટેકનિકલ ટીમે હેલિકોપ્ટરની તપાસ શરૂ કરી છે, જેથી ખામીનું કારણ જાણી શકાય. હેલિકોપ્ટરને રિપેર કર્યા બાદ પઠાનકોટ એરબેઝ પર પાછું લઈ જવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી, પરંતુ સેના અને પોલીસે સ્થિતિને નિયંત્રણમાં રાખી. આ અગાઉ ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જે અઠવાડિયામાં બીજી વખત બન્યું છે.