ચૂંટણી પંચનો મોટો નિર્ણય: હવે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ જ શરૂ થશે EVM ગણતરીનો અંતિમ તબક્કો

મતગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે ચૂંટણી પંચે કર્યા આ મોટા ફેરફારો, બિહાર ચૂંટણીથી થશે અમલ
નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પારદર્શિતા વધારવા માટે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટની ગણતરીની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે મતગણતરી દરમિયાન એ સુનિશ્વિત કરવામાં આવશે કે ઈવીએમની ગણતરીનો અંતિમ તબક્કો પોસ્ટલ બેલેટ પૂર્ણ થાય તે પહેલાં શરૂ ન થાય.
અગાઉ મતગણતરીના દિવસે સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવાની પ્રથા હતી અને ઈવીએમ ગણતરી સવારે સાડા આઠ વાગ્યે શરૂ થતી હતી. અગાઉના નિયમો અનુસાર, ઈવીએમની ગણતરી પોસ્ટલ બેલેટ પહેલાં સમાપ્ત થઈ શકતી હતી. જો કે, ચૂંટણી પંચે હવે નિર્ણય લીધો છે કે ઈવીએમ ગણતરીનો બીજો અંતિમ તબક્કો પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ શરૂ થશે.
નવી સિસ્ટમ સૌપ્રથમ નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આનાથી ગણતરી પ્રક્રિયા વધુ સમાન અને પારદર્શક બનશે, જેનાથી મતદારો અને ઉમેદવારોમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ દૂર થશે.
ચૂંટણી પંચે એ પણ નિર્દેશ આપ્યો છે કે પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હોય તેવા મતવિસ્તારોમાં પૂરતા ટેબલ અને મતગણતરી કરતા કર્મચારીઓ તૈનાત કરવામાં આવે. તેનો ઉદ્દેશ્ય ગણતરીમાં વિલંબ અટકાવવાનો અને સમયસર પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે તાજેતરમાં 85 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે ઘરે મતદાનની સુવિધા શરૂ કરવાથી પોસ્ટલ બેલેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગણતરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી મહત્વપૂર્ણ બની છે.
ચૂંટણી પંચનું માનવું છે કે આ નવું પગલું ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે. પોસ્ટલ બેલેટની ગણતરી થાય ત્યાં સુધી અંતિમ ઈવીએમ ગણતરી રોકવાનો નિર્ણય તમામ ઉમેદવારો અને પક્ષોને ખાતરી આપશે કે ગણતરી પ્રક્રિયામાં કોઈ ઉતાવળ કે અસમાનતા રહેશે નહીં.
આ પણ વાંચો…દેશભરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા માટે ચૂંટણી પંચે કવાયત હાથ ધરી