
નવી દિલ્હી : ભારતના પડોશી દેશ મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન પર ભારતીય સેનાએ ડ્રોન એટેક કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (આઈ)એ આ આરોપ લગાવ્યો છે. આ હુમલામાં ઉગ્રવાદી સંગઠનના કમાન્ડરનું મૃત્યુ થયું છે. તેમજ 19 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે બીજી તરફ ભારતીય સેનાએ સત્તાવાર રીતે આવી કોઈપણ કાર્યવાહીનો ઇનકાર કર્યો છે.
કેમ્પોને નિશાન બનાવીને ડ્રોન એટેક કરવામાં આવ્યા
આ ઉગ્રવાદી સંગઠને નિવેદનમાં જણાવ્યું છે કે આજે વહેલી સવારે તેમના અનેક કેમ્પોને નિશાન બનાવીને ડ્રોન એટેક કરવામાં આવ્યા છે. તેમજ આ હુમલામાં ભારે નુકસાન પણ થયું છે. જયારે ભારતીય સેનાના લેફનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ભારતીય સેના પાસે આવી કોઈ કાર્યવાહી અંગે કોઈ માહિતી નથી.આ ડ્રોન હુમલાની મળતી માહિતી મુજબ હુમલામાં ઉલ્ફા (આઈ) તેમજ એનએસસીએન-એનના કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં એનએસસીએન-કેના ઘણા સભ્યો પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો: ભારત-મ્યાનમાર બોર્ડર પર ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, 10 ઉગ્રવાદી ઠાર
કેવી રીતે અસ્તિવમાં આવ્યું સંગઠન ઉલ્ફા (આઈ) ?
યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (I) એટલે કે ઉલ્ફા (આઈ) એ એક ઉગ્રવાદી સંગઠન છે. જેની સ્થાપના 1979 માં પરેશ બરુઆ અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર સંઘર્ષ દ્વારા આસામને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બનાવવાનો હતો. કેન્દ્ર સરકારે વર્ષ 1990 માં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. વર્ષ 2008માં સંગઠનના એક મુખ્ય નેતા અરબિન્દા રાજખોવાની બાંગ્લાદેશથી ધરપકડ કરીને ભારતમાં સોંપવામાં આવ્યા હતા. ઉલ્ફા(I) ની હિંસક પ્રવૃત્તિઓને કારણે એક સમયે ચાના વેપારીઓને આસામ છોડવાની ફરજ પડી હતી.