NCERTમાંથી બાબરી ધ્વંસ અને ગુજરાતના રમખાણોના પ્રકરણ હટાવવા બાબતે ડાયરેક્ટરનું નિવેદન

નવી દિલ્હી: દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા એનસીઇઆરટી (NCERT)એ હાલમાં જ તેના પાઠ્યપુસ્તકોમાં બદલાવ કર્યા છે. તેમણે ઘણા પાઠ્યક્રમોને પાઠ્યપુસ્તકમાંથી હટાવી દીધા છે. આ અંગે NCERTના ડાયરેકટર દિનેશ પ્રસાદ સકલાનીએ નિવેદન આપ્યું હતું કે હિંસા અને નફરત એ શિક્ષણનો વિષય નથી. આથી તેને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવું યોગ્ય નથી. આથી બાબરી ધ્વંસ અને રામ રથયાત્રાનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
NCERT દ્વારા કરવામાં આવેલ બદલાવોને લઈને ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. NCERTના બદલાવોને લઈને તેનું ભગવાકરણ થયું હોવાનો આરોપ લાગ્યો છે. તેમના પ્રત્યુતરમાં દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું હતું કે ‘પાઠ્યપુસ્તકોનું ભગવાકરણ કરવાનો કોઈ પ્રયત્ન નથી. પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવેલા બદલાવ સાક્ષીઓ અને તથ્યોના આધારે કરવામાં આવી છે.
આ પણ વાંચો: NCERT syllabus: બાબરી ધ્વંશ, ગુજરાત રમખાણો અને હિન્દુત્વ રાજકારણના સંદર્ભો બદલવામાં આવ્યા
બાબરી ધ્વંસ અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા શરૂ કરવામાં આવેલ રામ રથયાત્રાનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવા પર NCERTના ડાયરેકટર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું હતું કે આપણે બાળકોને રમખાણો વિશે શા માટે ભણાવવું જોઈએ અને આપણો ઉદેશ્ય બાળકોને હિંસા અને રમખાણો વિશે ભણાવવાના નથી. પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવેલ બદલાવ એ વૈશ્વિક પરંપરાનો ભાગ છે અને તે શિક્ષણ માટે હિતમાં છે. જ્યારે કોઈ વસ્તુ અપ્રાસંગિક થઈ જાય છે ત્યારે તેને હટાવવી જોઈએ.
ગુજરાતના કોમી રમખાણોને હટાવવા બાબતે NCERTએ જણાવ્યું હતું કે ધૃણા કે હિંસા એ ભણાવવાના વિષય નથી. પાઠ્યપુસ્તકમાં આવી વસ્તુને જોર દેવામાં ન આવવું જોઈએ. વિદ્યાલયોમાં આવા વિષયો માત્ર તેનાથી અવગત કરાવવા માટે હોય છે નહિ કે યુદ્ધનું મેદાન બનાવવા માટે. તેમજ આ બદલાવો નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે અને તેમાં કોઈ હસ્તક્ષેપ કરવામાં નથી આવતો.