નેશનલ

આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?

નવી દિલ્હી: વાયુ પ્રદુષણ એ દિલ્હીની મોટી સમસ્યા છે. જેને લઈને અવારનવાર ચર્ચાઓ થાય છે. સાથોસાથ અવનવા નિયમો અમલમાં મૂકવામાં આવે છે. તાજેતરમાં વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર કેટલા વર્ષ જૂના વાહનો પર થશે? આવો જાણીએ.

કેટલા વર્ષ જૂના વાહનો પર થશે નિયમની અસર?
જો તમે દિલ્હીમાં રહો છો અને તમારી પાસે જૂનુ વાહન છે. તો 1 જુલાઈથી તમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ મળશે નહી. દિલ્હી સરકાર દ્વારા 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. દિલ્હીમાં વાહનો દ્વારા ફેલાતું વાયુ પ્રદુષણ ઘટાડવા માટે કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ તરફથી એક યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જૂના વાહનોની સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ઓળખ કરવામાં આવશે.

દિલ્હી સરકારે તૈયાર કરી 200 સર્વેલન્સ ટીમ
દિલ્હી સરકારે એમસીડી, પરિવહન વિભાગ, એમ્ફોર્સમેન્ટ વિંગ અને ટ્રાફિકના કર્મચારીઓની 200 ટીમ તૈયાર કરી છે. જે પેટ્રોલ પંપ પર દેખરેખ રાખશે. આ સિવાય પેટ્રોલ પંપના માલિકો માટે પણ એક એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, સર્વેલન્સ ટીમ દ્વારા ઓળખવામાં આવેલા જૂના વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાના નિયમો અને પરિવહન વિભાગના દિશા-નિર્દેશો અનુસાપ વાહનની જપ્તી અને નિકાલ કરવામાં આવશે. પેટ્રોલ પંપના માલિકોએ દર અઠવાડિયે સર્વેલન્સ ટીમ દ્વારા પકડાયેલા જૂના વાહનોની યાદી સીએક્યૂએમ અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૈસ મંત્રાલયની મોકલવાની રહેશે.

કેવી રીતે થશે જૂના વાહનની ઓળખ?
જૂના વાહનની ઓળખ માટે દરેક પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન(ANPR) કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. જે VAHAN ડેટાબેઝ સાથે જોડાયેલ હશે. કોઈપણ વાહન જેવું પેટ્રોલ પંપમાં પ્રવેશ કરશે એટલે ANPR કેમેરા લાઇસન્સ પ્લેટ સ્કેન કરશે અને તરત જ VAHAN રજિસ્ટ્રી વિગતો તપાસશે. જો કાર ELV હોવાનું જણાય અથવા તેમાં માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) ન હોય, તો સિસ્ટમ ઓપરેટરને ઓડિયો એલર્ટ આપશે. જેથી પેટ્રોલ પંપના ઓપરેટરોને તેમાં ઈંધણ ભરશે નહી.

જૂનું વાહન ધરાવતા માલિકને થશે દંડ
સરકારી આંકડાઓ અનુસાર દિલ્હીમાં 62 લાખ એવા જૂના વાહન છે, જેનું આયુષ્ય પુરૂ થઈ ચૂક્યુંછે. જેમાં 41 લાખ ટુ વ્હીલર્સ અને 18 લાખ ફોર વ્હીલર્સનો સમાવેશ થાય છે. જો આવા વાહનો પેટ્રોલ પંપ પર પકડાશે તો ફોર વ્હીલરના માલિકને 10000 તથા ટુ વ્હીલરના માલિકને 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. વાહન જપ્ત થયા બાદ તેને છોડાવવા માટે માલિકે ત્રણ અઠવાડિયાની અંદર અરજી કરવાની રહેશે. જેનો જે તે અધિકારીએ સાત દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે. જો પેટ્રોલ પંપના માલિક નિયમનું ઉલ્લંઘન કરતો પકડાશે તો તેની સામે પણ મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 192 હેઠળ દંડ વસૂલવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button