
નવી દિલ્હી : દિલ્હીમાં દિવાળી પૂર્વે વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ. આ વધતા પ્રદૂષણના પગલે GRAP-2 લાગુ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે હવાની ગુણવત્તા એટલી ખરાબ છે કે શ્વાસ લેવો પડવો મુશ્કેલ બન્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે સવારે દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક 426 નોંધવામાં આવ્યો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે.
વિઝિબિલિટી ઘટી ગઇ
જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખરાબ હવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગ્રેટર નોઇડા વેસ્ટ અને ગાઝિયાબાદના વિજયનગરમાં પણ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. ધુમાડો અને ધુમ્મસની જાડી ચાદર આખા એનસીઆર પર છવાઇ ગઇ છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ છે.
ગુરૂગ્રામમાં એક્યૂઆઇ 258 સાથે ગંભીર શ્રેણીમાં
સીપીસીબીના આંકડા અનુસાર ગૌતમ બુદ્ધ નગરમાં એક્યૂઆઇ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. નોઇડામાં એક્યૂઆઇ 298 નોંધવામાં આવ્યો હતો, પરંતુ સેક્ટર-1 સહિતના કેટલાક ભાગોમાં ગંભીર શ્રેણીમાં છે. ગાઝિયાબાદના વિજય નગરમાં એક્યૂઆઇ લગભગ 300 નોંધાયો હતો. જે ખૂબ ખરાબથી ગંભીર શ્રેણીમાં આગળ વધી રહ્યો છે. તો ગુરૂગ્રામમાં એક્યૂઆઇ 258 સાથે ગંભીર શ્રેણીમાં છે.
આનંદ વિહારમાં સૌથી વધુ એક્યૂઆઇ 389
શનિવારે દિલ્હીના 39 મોનિટરિંગ કેન્દ્રોમાંથી નવમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઇ હતી. આનંદ વિહારમાં સૌથી વધુ એક્યૂઆઇ 389, વજીરપુરમાં 351, બવાનામાં 309, જહાંગીરપુરીમાં 310, ઓખલામાં 303, વિવેક વિહારમાં 306, દ્વારકામાં 310 અને સિરી ફોર્ટમાં 307 નોંધાયો હતો.
આ પણ વાંચો…દિવાળી પૂર્વે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’: અક્ષરધામમાં AQI 426…