વિપક્ષમાં તિરાડઃ કૉંગ્રેસને ગઠબંધનમાં નહી્ પાંચ રાજ્યની ચૂંટણીમાં રસ, નીતિશનો પ્રહાર

હજુ તો કૉંગ્રેસ સહિતના બિનભાજપી પક્ષોનું જોડાણ થયે મહિનાઓ થયા છે. ભાજપ સામે એક મજબૂત દિવાલ બની ઊભા રહેવાની વાતો થઈ રહી છે, પરંતુ દીવાલ ચણાય તે પહેલા જ તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ હતી ત્યારે હવે નીતિશ કુમારે કૉંગ્રેસને ઝાટકી નાખી વિખવાદના સંકેત આપ્યા છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. નીતિશ કુમારે કહ્યું કે પટનામાં યોજાયેલી વિપક્ષની બેઠકમાં ભારત ગઠબંધન થયું હતું. પરંતુ આ દિવસોમાં જોડાણનું કોઈ કામ થઈ રહ્યું નથી. કોંગ્રેસ પાર્ટી આ તરફ ધ્યાન આપી રહી નથી. તેઓ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે.
આ દરમિયાન નીતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. નીતિશે કહ્યું કે, આજે કેન્દ્રની સરકારને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે ભાજપ દેશના ઈતિહાસને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
એક તરફ નીતિશ કુમારે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા તો બીજી તરફ તેમણે પોતાને એવા ગણાવ્યા જે બધાને સાથે લઈને ચાલશે. નીતિશે કહ્યું, અમે બધાને એક કરીએ છીએ. અમે સમાજવાદી છીએ. સામ્યવાદીઓ અને સમાજવાદીઓએ એક થઈને આગળ વધવું પડશે.
વાસ્તવમાં ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ નીતિશ કુમારે વિપક્ષને એક કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. તેઓ વિવિધ રાજ્યોમાં ગયા અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળ્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ નીતીશ ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને સાથે લાવવામાં સફળ રહ્યા હતા. આ પછી નીતિશે જૂનમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, શિવસેના, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ડાબેરી સહિત 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.
આ બેઠક બાદ વિપક્ષી પાર્ટીના નેતાઓ બેંગલુરુમાં મળ્યા હતા. આ બેઠકમાં 20થી વધુ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. પરંતુ બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ પણ અચાનક ગઠબંધનનું નામ INDIA કોઈ ચર્ચા કર્યા વિના નક્કી કરી દીધું. મમતા બેનર્જીએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું. જોકે, નીતિશ કુમાર આ નામના પક્ષમાં ન હતા.
આટલું જ નહીં, બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પહેલા જ નીતિશ કુમાર પટના પરત ફર્યા હતા. આ પછી નીતિશ કુમારની નારાજગીના સમાચારો મીડિયામાં આવ્યા હતા.
જોકે હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણી માટે કોઈ ગઠબંધન થયું નથી, આ મહાગઠબંધન લોકસભાની ચૂંટણી માટે છે. કૉંગ્રેસ રાજસ્થાનમાં સત્તા ધરાવે છે અને મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસદઢમાં મજબૂત છે, આથી સ્વાભાવિક રીતે તે વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ તાજેતરમાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ લોકસભાની બેઠકોની વહેંચણી અંગે બેઠકો યોજવામાં આવશે.