સાવરકર માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી; સાવરકરના પૌત્રની વંશાવળીની માંગી હતી માહિતી

નવી દિલ્હી: વીર સાવરકર સાથે જોડાયેલા કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કરેલી અરજીના કેસમાં પુણેની એક અદાલતે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે વી. ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરની માતાની વંશાવળી (maternal lineage) સંબંધિત માહિતી માંગી હતી. આ મામલો રાહુલ ગાંધી દ્વારા લંડનમાં વી. ડી. સાવરકરને લઈને આપેલા એક ભાષણ પર આધારિત માનહાનિની ફરિયાદ સાથે સંકળાયેલો છે.
કોર્ટે શું કહ્યું?
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમોલ શિંદેએ જણાવ્યું હતું કે, આ કેસ કથિત વાંધાજનક ભાષણ સાથે સંબંધિત છે, હિમાની અશોક સાવરકરના ફેમિલી ટ્રી સાથે નહીં. ઉલ્લેખનીય છે કે, હિમાની સાવરકર, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેની પુત્રી હતા. રાહુલ ગાંધી વતી એડવોકેટ મિલિંદ પવારે દલીલ કરી હતી કે ફરિયાદકર્તાએ પોતાની પિતૃ પક્ષની માહિતી આપી છે, પરંતુ માતૃ પક્ષની માહિતી નથી આપી, જે સુનાવણી માટે જરૂરી છે. અદાલતે આ દલીલને ફગાવી દેતા જણાવ્યું કે આ માહિતી આ કેસમાં સુસંગત નથી.
રાહુલ ગાંધીની જામીન રદ્દ કરવાની અરજી પણ નામંજૂર
આ ઉપરાંત, કોર્ટે સત્યકી સાવરકરની તે અરજીને પણ ફગાવી દીધી છે, જેમાં તેમણે રાહુલ ગાંધીની જામીન રદ્દ કરવાની માંગણી કરી હતી. સાવરકરે આરોપ લગાવ્યો હતો કે, આ મામલો 10 જાન્યુઆરી, 2025 થી સુનાવણી માટે નિર્ધારિત છે, પરંતુ રાહુલ ગાંધી જાણી જોઈને પોતાની દલીલ રજૂ નથી કરી રહ્યા અને વિલંબ કરી રહ્યા છે.
અદાલતે નોંધ્યું કે, રાહુલ ગાંધીને અંગત હાજરીમાંથી કાયમી મુક્તિ આપવામાં આવી છે અને તેમના દ્વારા કેસને ટાળવાના કોઈ નક્કર પુરાવા નથી. તેથી, સાવરકરની જામીન રદ્દ કરવાની માંગણી પણ નામંજૂર કરવામાં આવી.
આ પણ વાંચો ઑપરેશન સિંદૂરઃ વધુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ
શું છે સમગ્ર મામલો?
આ મામલો માર્ચ 2023માં લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ સાથે સંકળાયેલો છે. આ ભાષણમાં તેમણે દાવો કર્યો હતો કે, સાવરકરે એક પુસ્તકમાં લખ્યું હતું કે તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તેમને તેનાથી ખુશી થઈ હતી. ફરિયાદકર્તાએ રાહુલ ગાંધીના આ દાવાને ‘ખોટો, કાલ્પનિક અને દ્વેષપૂર્ણ’ ગણાવ્યો છે.