નેશનલ

મનરેગા યોજના સમાપ્ત કરવાના પ્રયાસ સામે કોંગ્રેસે ખોલ્યો મજબૂત મોરચો, દેશમાં શરૂ કરશે મનરેગા બચાવો અભિયાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને કથિત રીતે ખતમ કરવાના પ્રયાસો સામે કોંગ્રેસે હવે મક્કમ મોરચો માંડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ આગામી 5 જાન્યુઆરીથી દેશના ખૂણે ખૂણે ‘મનરેગા બચાવો અભિયાન’ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગ્રામીણ શ્રમિકોના હિતોનું રક્ષણ કરવાનો અને સરકારના આ એકતરફી નિર્ણય સામે જનજાગૃતિ ફેલાવવાનો છે.

મલ્લિકાર્જુન ખરગેએ આ અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, મનરેગા એ માત્ર એક સરકારી યોજના નથી પરંતુ તે ગરીબોને બંધારણ દ્વારા આપવામાં આવેલો કામ કરવાનો મૌલિક અધિકાર છે. તેમણે સરકારના આ નિર્ણયને કૃષિ કાયદાઓ જેવો જ ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ખરગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે કોઈ પણ જાતના મૂલ્યાંકન કે રાજ્યો સાથે ચર્ચા કર્યા વગર આ દૂરંદેશી કાયદાને રદ કરી દીધો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ અભિયાનને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે મનરેગાને ખતમ કરવાના નિર્ણયને દેશના સંઘીય માળખા અને ગરીબ લોકોના અધિકારો પરનો જીવલેણ હુમલો ગણાવ્યો છે.

રાહુલે આ નિર્ણયની સરખામણી ‘નોટબંધી’ સાથે કરતા કહ્યું કે, જેમ નોટબંધી કોઈ પણ વિચારધારા વગર લાગુ કરાઈ હતી, તેમ આ નિર્ણય પણ મંત્રીમંડળની સલાહ વગર એકતરફી રીતે લેવાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર વિપક્ષ આ મુદ્દે એકસાથે મળીને સરકારનો વિરોધ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષે માત્ર મનરેગા જ નહીં પરંતુ મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ અને સામાજિક વાતાવરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ ઘરે-ઘરે જાય અને સુનિશ્ચિત કરે કે દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના નામ મતદાર યાદીમાંથી કમી ન થાય. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અને ભારતમાં ક્રિસમસના આયોજનો પર થતા અવરોધોની પણ નિંદા કરી હતી, જેનાથી વિશ્વમાં ભારતની છબી ખરડાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button