
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓ (વિધાનસભા ચૂંટણી પરિણામો 2023)માં કોંગ્રેસને કારમી હાર આપીને ભાજપે હિન્દીભાષી રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વધુ મજબૂત કરવા અને 2024ની લોકસભા ચૂંટણી માટે વાતાવરણ તૈયાર કરવા માટે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે કોંગ્રેસે આશા છોડી નથી. કોંગ્રેસનું માનવું છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચોક્કસપણે હાર્યા છે, પરંતુ તેમણે જનાદેશ કે લોકોનું સમર્થન ગુમાવ્યું નથી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, “એ વાત સાચી છે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અમારી અપેક્ષા મુજબ પરિણામો આવ્યા નથી, પરંતુ વોટ શેરના સંદર્ભમાં જોઇએ તો આ કોંગ્રેસની જીત છે. અમે ભાજપથી વધુ દૂર નથી. આ અંતર ઓછું થઈ શકે છે. આ આંકડાઓ અમારા પુનરાગમનની આશા અને અપેક્ષા આપે છે.”
જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વોટ ટકાવારીમાં કેટલો તફાવત હતો…
આ પહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીની હાર બાદ જયરામ રમેશે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીને વર્ષ 2003માં પણ આવી જ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 2004ની લોકસભા ચૂંટણીમાં તે કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આત્મવિશ્વાસ, ધૈર્ય અને સંકલ્પ સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરશે, એમ જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે 20 વર્ષ પહેલા પણ કૉંગ્રેસને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે કૉંગ્રેસને ફક્ત દિલ્હીમાં જ જીત મળી હતી, પણ મહિનાની અંદર કોંગ્રેસે જોરદાર પુનરાગમન કર્યું અને લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી.” તેમણે કહ્યું, હતું કે ‘આશા, વિશ્વાસ, ધૈર્ય અને નિશ્ચય સાથે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરશે. જોડાશે ભારત અને જીતશે ઇન્ડિયા!’