
નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી છે. મળતી જાણકારી પ્રમાણે દિલ્હી હાઈ કોર્ટના આદેશ પછી ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
તિહાર જેલના અધિક્ષક સામે આત્મસમર્પણ કર્યું છે અને એક અરજી કરીને રાજપાલ યાદવે થોડી મુદ્દત માંગી હતી, પરંતુ 4 ફેબ્રુઆરીએ રાજપાલની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈ કોર્ટે મુદ્દત આપવાની ના પાડી દીધી હતી, જેથી આત્મસમર્પણ કરવાની નોબત આવી છે.
આપણ વાચો: કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો
હાઈ કોર્ટમાં રાહત આપવાની ના પાડી દીધી
રાજપાલ યાદવ ફરી દિલ્હી હાઈ કોર્ટમાં રાહત મેળવવા માટે રૂબરૂ હાજર રહ્યો હતો અને કોર્ટને જાણ કરી કે તેઓ રૂપિયા 25 લાખનો ચેક લાવ્યા છે અને બાકીની રકમ તેઓ ચૂકવશે. પરંતુ કોર્ટે કહ્યું કે, પહેલા તમે આત્મસમર્પણ કરો પછી યોગ્યતાના આધારે કોર્ટ વિચાર કરશે કે તમને રાહત આપવી જોઈએ કે નહીં.
કોર્ટે આત્મસમર્પણ કરવાનું કહેતા રાજપાલ તિહાર જેલમાં હાજર થયાં હતાં. રાજપાલ યાદવના કેસમાં કોર્ટે કહ્યું કે જે લોકો કાયદાનું સન્માન નથી કરતા તેમણે કોર્ટ પાસેથી કોઈ દયાની અપેક્ષા રાખવી જોઈએ નહીં અને કાયદો તેના પાલનને પુરસ્કાર આપે છે, તેના તિરસ્કારને નહીં.
આપણ વાચો: અસરાનીના મૃત્યુથી અક્ષય કુમાર ફીલ કરી રહ્યો છે ડિપ્રેશન, ફોન કરી કહે છે કે…
શું હતો આ સમગ્ર મામલો?
મૂળ કેસની વાત કરીએ તો આ કેસ 2010નો છે, જેમાં તેમણે તેમની ડિરેક્ટરિયલ ડેબ્યુ ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મુર્લી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાં આ મામલે હવે જેલ સુધી પહોંચ્યો છે. 5 કરોડ રૂપિયાની લોન કેસમાં તેમણે રૂપિયા પાછા આપ્યાં નહોતા.
કેસ એવો છે કે, રાજપાલ યાદવે રૂપિયા પાછા આપવાના નામે અનેક વખત ચેક આપ્યાં હતા, પરંતુ તે દરેક ચેક બાઉન્સ થયાં હતાં, જે પછી કંપનીએ રાજપાલ યાદવ પર કેસ કર્યો હતો, જેમાં હવે રાજપાલ યાદવને જેલમાં જવાનો વખત આવ્યો છે.
ટ્રાયલ કોર્ટે આપેલી સજા પણ ભોગવવી પડશે
ચુકાદાની વાત કરવામાં આવે તો, રાજપાલના ચેક બાઉન્સ થયા તેમાં દોષી જાહેર કરવામાં આવ્યાં છે, અને ટ્રાયલ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી હતી. ત્યાર બાદ તેમની અપીલ પર 2024માં દિલ્હી હાઈ કોર્ટે સજા પર રોક લગાવી દેવામાં આવી હતી.
સમાધાન થયું તેમાં ફરિયાદીને રૂપિયા પાછા આપવાની વાત કરી હતી, પરંતુ રૂપિયા આપ્યાં નહોતા! જેથી ફરી અપીલ કરવામાં આવી અને કોર્ટે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ટ્રાયલ કોર્ટે આપેલી સજા પણ ભોગવવી પડશે તેવો દિલ્હી હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે.



