જૂતું ફેંકવાની ઘટના મુદ્દે જસ્ટિસ ગવઈએ પહેલી વાર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) બીઆર ગવઈ તાજેતરમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક વકીલે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની સમગ્ર દેશમાં ટીકા કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ વખોડી હતી. આ ઘટનાના બે દિવસ બાદ સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણીએ શું કહ્યું સીજેઆઈએ.
તેઓ CJI છે કોઈ મજાકની વાત નથી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) પર જૂતું ફેકવાની ઘટનાને લઈને સમગ્ર દેશનું ન્યાયતંત્ર હચમચી ગયું છે. આ ઘટનાને સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સર્વોચ્ચ અદાલતનું અપમાન ગણાવી રહ્યા છે. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ CJI છે. આ મજાકની વાત નથી. આ ઘટના અંગે મારો પોતાનો વિચાર છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.
પોતાના સહયોગી જસ્ટિસે આપેલી પ્રતિક્રિયા તથા પોતાના પર વકીલ દ્વારા જૂતુ ફેંકવાની ઘટનાને લઈને એક સુનાવણી દરમિયાન સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સીજેઆઈ બીઆર ગવઈએ જણાવ્યું કે સોમવારે જે થયું તેનાથી હું અને મારા વિદ્વાન ભાઈ(જસ્ટિસ) ઘણા સ્તબ્ધ છીએ. અમારા માટે તે એક ભૂલાયેલો અધ્યાય છે. આટલું કહીને સીજેઆઈ બીઆર ગવઈએ કોર્ટની કાર્યવાહીને આગળ હાથ ધરી હતી.
તુષાર મહેતાએ કરી CJIની પ્રસંશા
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ ઘટનાને ભૂલાયેલો અધ્યાય ગણાવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ ઘટનાને અક્ષમ્ય ગણાવી હતી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, “ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર થયેલો હુમલો અક્ષમ્ય છે. જોકે, આ ઘટનાને લઈને CJIની ઉદારતાની પણ તુષાર મહેતાએ પ્રસંશા કરી છે.
ઉલ્લેખનીય છે કે, 6 ઓક્ટોબર, 2025ને સોમવારના સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન રાકેશ કિશોર નામના વકીલે CJI બીઆર ગવઈ પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેક્યા બાદ આ વકીલે સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે એવી બૂમો પાડી હતી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ ગવઈએ શાંતિ જાળવી રાખી હતી અને કોર્ટમાં સુનાવણી યથાવત ચાલુ રાખી હતી. તેમણે કોર્ટમાં હાજર અન્ય વકીલોને કહ્યું: “આ બધા પર ધ્યાન ન આપો. અમને ફરક પડતો નથી. આ વાતો મને અસર કરતી નથી.