નેશનલ

ચિંતપૂર્ણી માતાના ભક્તો માણશે ઉડન ખટોલાનો આનંદ, રૂ. 75 કરોડના ખર્ચે 1 કિમી લાંબો રોપ-વે બનાવાશે

સિમલાઃ હિમાચલ પ્રદેશનો આર્થિક વિકાસ પર્યટન પર નિર્ભર છે. સરકારે હિમાચલમાં દર વર્ષે 5 કરોડ પ્રવાસીઓ આવવાનું લક્ષ્ય રાખ્યું છે. હિમાચલ પ્રદેશની સરકાર આવક ઊભી કરવા માટે ધાર્મિક પર્યટનને ઘણું મહત્વ આપી રહી છે. રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકાર માતા ચિંતપૂર્ણી સહિત કેટલાક મંદિરોને ‘રોપ-વે’ દ્વારા જોડવાનું વિચારી રહી છે જેથી ઍક્સેસ સરળ બને અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવે.

મળતી માહિતી મુજબ ચિંતપૂર્ણી મંદિર રોપ-વે સંબંધિત પ્રોજેક્ટ લગભગ 75 કરોડ રૂપિયાનો છે. અહીં 1.1 કિલોમીટર લાંબો રોપ-વે બનાવવામાં આવશે. આ રોપ-વેના નિર્માણથી પ્રવાસીઓને નવી સુવિધા મળશે અને મંદિર સુધી પહોંચવાનું પણ સરળ થશે. રોપ-વેના નિર્માણથી આ વિસ્તારમાં વાહન જામની સમસ્યા પણ મહદઅંશે હલ થશે.

મનાલી સ્કી હિમાલયન કંપની ચિંતપૂર્ણી મંદિરમાં રોપ-વે પ્રોજેક્ટનું નિર્માણ કરશે. મંજૂરી પત્ર મળ્યા બાદ, કંપનીએ આ રોપવે પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં બાંધવો પડશે. રોપવે પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ કંપની સરકારને વાર્ષિક રૂ. 11 લાખ આપશે. આ રોપવે પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ, પીપીપી હેઠળ બનાવવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે ચિંતપૂર્ણિ મંદિર માટે આ રોપ-વે સિસ્ટમ બનાવવાથી ભીડ નિયંત્રણમાં સરળતા રહેશે અને ભક્તોને સલામત અને સરળ માર્ગ પણ મળશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ આપશે અને લોકો માટે આ ધાર્મિક અને પવિત્ર સ્થળની મુસાફરી સુલભ અને આરામદાયક બનાવશે. દેશના મુખ્ય ધાર્મિક સ્થળોમાં પણ તેને આગવી રીતે સામેલ કરવાનું પણ વિચારાધીન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button