નેશનલ

બેંગલુરુ નાસભાગ: CM સિદ્ધારમૈયાએ કુંભમેળાની નાસભાગનો ઉલ્લેખ કર્યો, Dy CMએ માફી માંગી

બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા (Bengaluru stampede) હતાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)એ ગુરુવારે કહ્યું કે નાસભાગની ઘણી ઘટના બની છે.

બેંગલુરુના નાસભાગની ઘટના અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા, સિદ્ધારમૈયાએ આ વર્ષની શરૂઆતમાં કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડનો પણ ઉલ્લેખ કર્યો, સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈ બચાવ કરી રહ્યા નથી.

સિદ્ધારમૈયાએ કહ્યું, “દેશમાં અગાઉ, આ પ્રકારની ઘણી નાસભાગ થઈ છે. આનાથી પણ ખરાબ ઘટનાઓ પણ બની છે. તેનો ઉલ્લેખ કરીને હું બચાવ નથી કરી રહ્યો, કુંભ મેળામાં પણ લગભગ 50-60 લોકો મૃત્યુ પામ્યા હતાં.”

સિદ્ધારમૈયાએ કહ્યું કે જ્યારે મહાકુંભમાં નાસભાગમાં લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે તેમણે કોઈ ટીકા કરી ન હતી. તેમણે, “જો કોંગ્રેસ ટીકા કરે છે, તો તે અલગ વાત છે. શું મેં કે કર્ણાટક સરકારે ટીકા કરી હતી?”

‘સરકારે ફટ પરવાનગી આપી હતી’

મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ એમ પણ જણાવ્યું સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા નહીં, પરંતુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જોકે પોલીસનો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું “સરકારે ફક્ત પરવાનગી આપી હતી અને સુરક્ષા માટે સમગ્ર બેંગલુરુ પોલીસ દળને તૈનાત કર્યું હતું. સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન અમે કર્યું ન હતું.”

તેમણે ઉમેર્યું, “વિધાન સૌધા સામે એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા, પરંતુ ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જોકે, સ્ટેડિયમમાં, જ્યાં ક્ષમતા 35,000 છે, ત્યાં લગભગ બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા હતા. આ અણધાર્યું હતું.”

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે સરકાર ઘાયલોને મફત સારવાર પણ આપશે. સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દુર્ઘટના ન થવી જોઈતી હતી. સરકાર આ ઘટના પર દુખ વ્યક્ત કરે છે. તેમણે આ ઘટના અંગે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાને માફી માંગી:

કર્નાટકના નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારે કહ્યું, “આવું ન થવું જોઈતું હતું, અમને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી રાખી… અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ… અમે હકીકતો મેળવી રહ્યા છીએ અને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ…” તેમણે કહ્યું.

તેમણે ભાજપ પર ઘટનાનું રાજકારણ કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે, “અમને આ ઘટના માટે ખૂબ જ દુઃખ છે. અમે ભવિષ્યમાં વધુ સારો ઉકેલ શોધવા કામ કરીશું.”

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ ગુરુવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેબિનેટ બેઠક સિવાય અન્ય તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસ સહિત કોઈપણ ઉજવણી યોજાશે નહીં.

આ પણ વાંચો….‘સરકારને અફસોસ છે’ બેંગલુરુમાં થયેલી નાસભાગ વિષે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનું નિવેદન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button