કાશ્મીરમાં ચિનાબ નદીનું જળસ્તર ઘટતા લોકો સોના-ચાંદીના સિક્કા શોધતા જોવા મળ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ જમ્મુના અખનૂર ક્ષેત્રમાં ચિનાબ નદીને પગપાળા પાર ન કરે. નદીનું જળસ્તર પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે સેંકડો ગ્રામીણ લોકો નદી કિનારે એકઠા થઈ ગયા છે. કેટલાક લોકોને નદીના છીછરા પાણીમાં સોના-ચાંદીના સિક્કા અને ઘરેણાં શોધતા જોવા મળ્યા હતા.
22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ, કેન્દ્ર સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી ચાલી રહેલી સિંધુ જળ સંધિને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે કાંપ દૂર કરવામાં આવ્યા બાદ સોમવારે આ બંને બંધોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી જળાશયોને ફરીથી ભરી શકાય. તેના પરિણામે ચિનાબનું જળસ્તર ખાસ કરીને અખનૂર ક્ષેત્રમાં ઘણું ઓછું થઈ ગયું.
આ પણ વાંચો પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક
અનેક લોકો નદીના પટમાં પહોંચ્યા
આ જળસ્તરમાં ઘટાડાના કારણે ઘણા લોકો નદીની વચ્ચે પગપાળા ચાલીને ફોટો લેવા પહોંચ્યા હતા. કેટલાક સ્થાનિક લોકો નદીના છીછરા પ્રવાહમાં સોના-ચાંદીના સિક્કા અને ઘરેણાં શોધવા લાગ્યા હતા. જો કે જેમ જેમ બપોર પછી પાણીનું સ્તર અચાનક ફરીથી વધવા લાગ્યું, તેમ પોલીસ અધિકારીઓની એક ટીમે લોકોને નદીના પટમાંથી હટાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે લાઉડસ્પીકર લગાવીને લોકોને કહ્યું કે તેઓ નદી પાર કરવાનો પ્રયાસ ન કરે.
ચીનાબમાં અચાનક વધ્યું પાણી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થયો છે અને પાણીના સ્તરમાં અચાનક વધારો થઈ શકે છે. કૃપા કરીને જગ્યા ખાલી કરો. જો કે લોકો કહી રહ્યા છે કે ચિનાબનું જળસ્તર પહેલાં ક્યારેય આટલું નીચું પહોંચ્યું નથી. સ્થાનિક રહેવાસી અંકુર શર્માએ કહ્યું કે સંધિના નિલંબનથી સરકારને આ જળ-વ્યવસ્થાપન કરવાનો અધિકાર મળ્યો છે જેથી પાકિસ્તાનને પાઠ ભણાવી શકાય. તેમણે સમજવું જોઈએ કે દરેક વખતે નિર્દોષ લોકોને મારીને ભાગી શકાય નહીં