નાનપણના મિત્રો બન્યા વેરી, નાણાની લેવડ દેવડમાં એક બીજાની હત્યા

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મિત્રોએ આંતરીક વિવાદમાં એકબીજાને છરીના ઘા મારી હત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બોડી-બિલ્ડિંગ સપ્લિમેન્ટના નાણાંકીય વિવાદને લઈને બની હતી.
પાર્કમાં ઝઘડો અને હત્યા
અહેવાલો પ્રમાણે આખી વાત એમ છે કે, 35 વર્ષીય આરિફ ઉર્ફે આશિક અલી અને 36 વર્ષીય સંદીપ યાદવ, જેઓ નજીકના પાડોશી હતા અને સાથે નાનપણના મિત્રો પણ હતા. રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યા થી સાડા નવ વાગ્યાની વચ્ચે પાર્કમાં બેઠા હતા. બંને વચ્ચે નાણાકીય બાબતે થયેલ નાનો ઝઘડો મારામારી ફેરવાયો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા પર છરીના ઘા માર્યા, જેના કારણે બંનેનું મૃત્યુ થયું. નજીકના લોકોએ તેમને દીન દયાલ ઉપાધ્યાય હૉસ્પિટલ ખસેડ્યા, પરંતુ ત્યાં સુધીમાં બંનેનું મોત થઈ ચૂક્યું હતું.
પોલીસ તપાસ અને સાક્ષ્ય
પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી બે છરીઓ મળી આવી છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઘટના સમયે પાર્કમાં બીજા લોકો પણ હાજર હતા, જેમની પૂછપરછ ચાલુ છે. હજુ ઘટનાનો ક્રમ સ્પષ્ટ થયો નથી. સંદીપ બોડી-બિલ્ડિંગ સપ્લિમેન્ટ વેચતો હતો, જ્યારે આરિફ જૂનાં કપડાંનો વેપાર કરતો હતો.
આપણ વાંચો: આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ
પરિવારનું દુઃખ અને વિવાદનું કારણ
પ્રાથમિક જાણકારી પ્રમાણે આરિફે સંદીપ પાસેથી સપ્લિમેન્ટ ખરીદ્યા હતા, જેના નાણાં ચૂકવ્યા ન હતા. આ ઉપરાંત, સંદીપે આરિફના જામીન માટે 4 લાખ રૂપિયા અને ફ્લેટ માટે નાણાં આપ્યા હતા. સંદીપે આ નાણાં પરત માંગ્યા, કારણ કે તેમની માતાને પેરાલિસિસનો હુમલો થયો હતો. અત્યાર સુધી પોલીસને આ કારણે ઝઘડો હિંસક બન્યા હોવાની આશંકા છે. જ્યારે વધુ માહિતી તપાસ બાદ જ જાણવા મળશે.