છત્તીસગઢમાં નક્સલી હુમલામાં એસપી આકાશ રાવ શહીદ, બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી ઘાયલ

સુકમા : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. કોન્ટા-ગોલ્લાપલ્લી રોડ પર નક્સલીઓ દ્વારા મૂકવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં એડિશનલ એસપી આકાશ રાવ ગિરિપુંજે શહીદ થયા છે. જ્યારે બ્લાસ્ટમાં અન્ય ચાર સુરક્ષા કર્મી ઘાયલ થયા છે.
સુરક્ષા છાવણી સ્થાપીને ટીમ સાથે પરત ફરી રહી હતી
આ આઇઇડી બ્લાસ્ટ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવી સુરક્ષા ચોકી સ્થાપીને ટીમ સાથે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલ એક આઇઇડી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ એડિશનલ એસપી ગિરિપુંજેને તાત્કાલિક કોન્ટા આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું
આ હુમલાથી સુરક્ષા દળો સામે નક્સલીએ ફરી પડકાર ફેંક્યો છે. સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
સુકમામાં 18 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું
ઉલ્લેખનીય છે કે, 27 મેના રોજ છત્તીસગઢના સુકમા જિલ્લામાં 18 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી 10 નક્સલીના નામ 38 લાખ રૂપિયાના ઈનામ સાથે જાહેર કરવામાં આવ્યા હતા,એમ પોલીસે જણાવ્યું હતું.સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે માઓવાદી વિચારધારાથી નિરાશ થઈને નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.