ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં હિંસા ફેલાવવા માંગતું હતું પાકિસ્તાન, ઓપરેશન સિંદૂરનું નામ લેતાં જ યાદ આવશે પરાજયઃ પીએમ મોદી

શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરી પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું, પાકિસ્તાન માનવતા અને ગરીબોની રોજી રોટીનું વિરોધી છે. પાકિસ્તાનની કોશિશ કાશ્મીરને બરબાદ કરવાની હતી. પાકિસ્તાને કાશ્મીરની અનેક પેઢીને બરબાદ કરી છે. કાશ્મીરે આતંકને તેનું ભાગ્ય માની લીધું છે. અહીંયાની હાલત બદલાઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું, પહલગામમાં માનવતા અને કાશ્મીરિયત પર હુમલો થયો હતો. પાકિસ્તાન ટુરિઝમનું વિરોધી છે. પાકિસ્તાન જ્યારે પણ ઓપરેશન સિંદૂરનું નામ લેશે ત્યારે ભારત સામે થયેલા કારમા પરાજયની યાદ આવશે. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું, 6 મેની રાત આતંકીઓ માટે કાળ હતી. રઘવાયા બનેલા પાકિસ્તાને કાશ્મીરમાં આમ આદમી પર હુમલા કર્યા. કાશ્મીરમાં ગુરુદ્વારા અને મસ્જિદને પણ નિશાન બનાવ્યા હતા.

આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ કહ્યું, આ નવા ભારતની તાકાત છે. પીએમ મોદીએ કહ્યું, ચિનાબ બ્રિજના ઉદ્ઘટનથી જમ્મુ-કાશ્મીરમાં લાખો લોકોનું સપનું પૂરું થયું છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પરિયોજના માત્ર એક નામ નથી, તે જમ્મુ-કાશ્મીરની નવી તાકાતની ઓળખ છે. આજે જમ્મુ-કાશ્મીરને બે નવી વંદે ભારત ટ્રેન મળી છે. 46 હજાર કરોડ રૂપિયાની યોજનાએ કાશ્મીરના વિકાસને વેગ આપશે.

આજનો કાર્યક્રમ ભારતની એકતા અને ઈચ્છા શક્તિનો ખૂબ મોટો ઉત્સવ છે. માતા વૈષ્ણોદેવીના આશીર્વાદથી આજે કાશ્મીર ઘાટી ભારતના રેલ નેટવર્ક સાથે જોડાયું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ નેટવર્ક છે.

પાકે ‘ઈન્સાનિયત’ પર હુમલો કર્યો

પીએમ મોદીએ કહ્યું, આપણો પડોશી દેશ માનવતાનો દુશ્મન છે. પાકિસ્તાને 22 એપ્રિલના રોજ પહલગામમાં માનવતા અને કાશ્મીરિયત બંને પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન આપણા દેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે. ભારત તેમના ઘરમાં ઘૂસીને બદલો લેશે તેમ પાકિસ્તાન સેના અને આતંકીએ વિચાર્યુ નહીં હોય. વર્ષોથી આતંકીઓએ જે માળખું તૈયાર કર્યું હતું, તેને ગણતરીની મિનિટોમાં જ ખંડેર બની ગયું હતું.

આ પણ વાંચો -‏‏‎ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ

આતંકીઓએ આદિલની પણ હત્યા કરી

પાકિસ્તાન કાશ્મીરના મહેનતું લોકોને આજીવિકાથી દૂર કરવા માંગે છે. આંતકીઓને પડકારનારો યુવક આદિલ પણ ત્યાં મહેનત મજૂરી કરવા ગયો હતો. પોતાના પરિવારના ભરણપોષણ માટે તે મહેનત કરતો હતો પરંતુ આતંકીઓએ આદિલને પણ છોડ્યો નહોતો.

ચિનાબ બ્રિજ પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે

પીએમ મોદીએ ફ્રાંસના એફિલ ટાવરનો ઉલ્લેખ કરીને કહ્યું, વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આર્ચ છે. લોકો પેરિસમાં એફિલ ટાવર જોવા જાય છે અને આ બ્રિજ એફિલ ટાવરથી પણ ખૂબ ઊંચો છે. હવે લોકો કાશ્મીર ફરવા આવશે ત્યારે ચિનાબ બ્રિજ જોવા પણ જશે. તેનાથી તે આકર્ષક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે. લોકો સેલ્ફી પોઇન્ટ પર જઇને સેલ્ફી લેશે. આપણો અંજી બ્રિજ પણ એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનો પ્રથમ કેબલ સપોર્ટેડ બ્રિજ છે. આ બંને બ્રિજ માત્ર ઈંટ, સીમેન્ટ, સ્ટીલ અને લોખંડના માળખા નથી પરંતુ પીર પંજાલની પહાડોમાં ઉભેલા ભારતની શક્તિનું પ્રતીક છે. આ ભારતના ઉજ્જવળ ભવિષ્યની તસવીર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button