
મુંબઈ: આજે વર્ષના છઠ્ઠા મહિના જુનની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ ઘણા એવા ફેફારો લાગુ થઇ ગયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પડી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG) સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં પણ ઘટાડો થયો છે, જેને કારણે એર ટ્રાવેલ સસ્તું થઇ શકે છે. આ સાથે ઘણા ફાઇનાન્સિયલ ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે.
LPG સિલિન્ડર સસ્તો થયો:
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પહેલી જુનથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મુક્યો છે. સિલિન્ડરના ભાવમાં ₹24નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ રૂ.1747.50 થી ઘટીને રૂ.1723.50 થઈ ગયો છે. મુંબઈમાં સિલિન્ડરનો ભાવ 1674.50 રૂપિયા થઇ ગયો છે. કંપનીઓએ 14.2 કિલોગ્રામના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
એર ટ્રાવેલ સસ્તુ થઇ શકે છે:
આજે પહેલી જુનથી એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવમાં પણ ઘટાડો થયો છે. દિલ્હીમાં ATFનો ભાવ ઘટીને 83,092.55 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ ગયો છે. મુંબઈમાં ATFનો ભાવ 77602.93 રૂપિયા પ્રતિ કિલોલિટર રહેશે. ATFના ભાવમાં ઘટાડાને કારણે, એરલાઈન્સ એર ટીકીટ સસ્તી કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડના નિયમમાં ફેરફાર:
જૂનના પહેલા દિવસથી, મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત એક નિયમમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ માટે નવો કટ-ઓફ સમય લાગુ કર્યો છે, જે આજે 1 જૂનથી અમલમાં આવશે. હવેથી, ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટેનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે અને ઑનલાઇન ટ્રાન્ઝેક્શ માટે સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. આ પછી કરવામાં આવેલા ઓર્ડર પર આગળના વર્કિંગ ડે પર વિચારણા કરવામાં આવશે.
EPFO 3.0 રોલઆઉટ:
સરકાર EPFO નું નવું વર્ઝન, EOFO 3.0 લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, અને તે આ મહિના જ રજૂ થવાની તૈયારીમાં છે. EOFO 3.0 લોન્ચ પછી, PF કલેઈમ કરવો સરળ બનશે અને આ સાથે, EPFO મેમ્બર્સ હવે ATM મશીન અને UPI દ્વારા PF ના પૈસા ઉપાડી શકશે. તેના લોન્ચ પછી, દેશના 9 કરોડથી વધુ લોકોને તેનો લાભ મળશે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર:
કેટલીક બેંકોએ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે 1લી જુનથી કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. બેંકની વેબસાઇટ અનુસાર, જો આ બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરનું ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે, તો બેંક દ્વારા 2 ટકાનો બાઉન્સ ચાર્જ લાગુ કરવામાં આવી શકે છે. આ ચાર્જ ઓછામાં ઓછા 450 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા હોઈ શકે છે. આ ઉપરાંત, બેંકના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર મંથલી ફાઇનાન્સ ચાર્જ પહેલી તારીખથી વધી શકે છે. તે હાલમાં લાગુ 3.50 ટકા (42% વાર્ષિક) થી વધારીને 3.75 ટકા (45% વાર્ષિક) કરવામાં આવી શકે છે.
આ ફેરફારો પણ 1લી જૂનથી અમલમાં આવશે:
જૂન મહિનો આધાર કાર્ડ ધારકો અને FD રોકાણકારો માટે ખાસ રહેશે છે. UIDAI દ્વારા આધાર કાર્ડ ધારકોને મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ આ મહિનાની 14મી તારીખે સમાપ્ત થઈ રહી છે અને પછી અપડેટ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, ઘણી બેંકો જૂનમાં ફિક્સ ડિપોઝિટ અને લોનના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે, કારણ કે રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
આપણ વાંચો: તેજ પ્રતાપ યાદવે તોડ્યું મૌન, જાણો એક્સ પર પોસ્ટ કરીને શું કહ્યું…
NPCI UPI સંબંધિત એક નવો નિયમ લાગુ કરી રહી છે, જેના હેઠળ UPI પેમેન્ટ કરતી વખતે, યુઝર્સને ફક્ત ‘અલ્ટિમેટ બેનિફિશિયરી’ બેંકિંગ નામ જોવા મળશે. QR કોડ અથવા એડિટ કરેલા નામો હવે દેખાશે નહીં. આ નિયમ 30 જૂન સુધીમાં તમામ UPI એપ્સ પર લાગુ થઈ શકે છે.