સીબીએસઇનો 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પરિપત્ર, જુલાઇ માસથી અમલની શક્યતા

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE)એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સીબીએસસીની તમામ સંલગ્ન શાળાઓને શક્ય તેટલી વહેલી તકે 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા જણાવ્યું છે. સામાન્ય રીતે મોટાભાગની ખાનગી શાળાઓમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે. તેમજ માતૃભાષા પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે આ પરિપત્ર માતૃભાષામાં શિક્ષણ માટે નવી પહેલ છે.
સીબીએસસી સાથે 30,000 થી વધુ શાળાઓ જોડાયેલી
હાલમાં દેશભરની સીબીએસસી શાળાઓમાં પ્રાથમિક વર્ગોમાં અંગ્રેજી પ્રાથમિક શિક્ષણ ભાષા છે. સીબીએસસી દેશનું સૌથી મોટું સ્કૂલ બોર્ડ છે. જેની સાથે 30,000 થી વધુ શાળાઓ જોડાયેલી છે.સીબીએસસીના પરિપત્રમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 2 સુધીના શિક્ષણને પ્રાથમિક તબક્કો કહેવામાં આવે છે. જેમાં બાળકોએ તેમની માતૃભાષા, માતૃભાષા અથવા પરિચિત પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરવો જોઈએ. આ ભાષા, જેને ‘R1’ કહેવાય છે. આદર્શ રીતે માતૃભાષા હોવી જોઈએ.
માતૃભાષામાં અભ્યાસ જુલાઈથી શરૂ થઈ શકે છે
પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ R1 (માતૃભાષા/પરિચિત પ્રાદેશિક ભાષા) માં શીખવાનું ચાલુ રાખી શકે છે અથવા તેમને R1 સિવાયના માધ્યમમાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. જોકે, 22 મેના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે માતૃભાષામાં અભ્યાસ જુલાઈથી શરૂ થઈ શકે છે.
માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનશે
આ પહેલી વાર છે જ્યારે સીબીએસસી એ સંકેત આપ્યો છે કે તે તેની શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે. અત્યાર સુધી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને શાળા શિક્ષણ 2023 હેઠળ, બોર્ડ ફક્ત સલાહકાર પરિપત્રો દ્વારા તેના ઉપયોગને પ્રોત્સાહન આપતું હતું.
નવી શિક્ષણ નીતિ 2020 શું કહે છે?
નવી શિક્ષણ નીતિ 2020 અને NCFSE 2023 બંને પ્રારંભિક શિક્ષણમાં ખાસ કરીને 8 વર્ષની ઉંમર સુધીના પાયાના તબક્કામાં માતૃભાષાના ઉપયોગની ભલામણ કરે છે. NCFSE 2023 જણાવે છે કે, બાળકો તેમની માતૃભાષામાં ખ્યાલો સૌથી ઝડપથી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે. તેથી શિક્ષણનું પ્રાથમિક માધ્યમ બાળકની માતૃભાષા/પરિચિત ભાષા હશે.
NCF અમલીકરણ સમિતિની રચના ટૂંક સમયમા
સીબીએસઈના પરિપત્રમાં તમામ શાળાઓને મે મહિનાના અંત સુધીમાં ‘એનસીએફ અમલીકરણ સમિતિ’ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આ સમિતિ વિદ્યાર્થીઓની માતૃભાષા અને ભાષા સંસાધનોની માહિતી એકત્ર કરશે. તેમજ શાળાઓને આ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો…સીબીએસઇએ પરીક્ષા પ્રણાલીમાં કર્યો મોટો ફેરફાર: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 ની પરીક્ષા…