CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, કોને મળશે તક?

નવી દિલ્હી: નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. પોતાના સંતાનોની પરીક્ષાને લઈને માતા-પિતા પણ ચિંતામાં રહેતા હોય છે, પરંતુ હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને રાહત મળશે.
CBSE બે તબક્કામાં લેશે ધોરણ દસની પરીક્ષા
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE) ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર વર્ષ 2026થી વર્ષમાં બે વાર ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવાશે. આ અંગે CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે મીડિયાને જણાવ્યું કે, “હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 2 તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાની પરીક્ષા ફેબ્રુઆરી અને બીજા તબક્કાની પરીક્ષા મે મહિનામાં યોજાશે.”
બીજા તબક્કાની પરીક્ષા વૈકલ્પિક રહેશે
તેમણે આગળ જણાવ્યું કે પહેલા તબક્કાની પરીક્ષા દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે આપવાની રહેશે, જ્યારે બીજા તબક્કાની પરીક્ષા વૈકલ્પિક રહેશે. જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે છે કે પહેલી પરીક્ષા સારી નથી ગઈ. તે બીજી પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકશે.
કોઈ પણ 3 વિષયની પરીક્ષા આપી શકશે વિદ્યાર્થી
CBSEના આ નવા નિર્ણય હેઠળ વિદ્યાર્થીઓેને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા મુખ્ય વિષયો પૈકીના કોઈ પણ ત્રણ વિષયનું પરિણામ સુધારવાની તક મળશે. એટલે કે વિદ્યાર્થી માત્ર એ જ વિષયની પરીક્ષા બીજીવાર આપી શકશે. જેને પહેલી પરીક્ષાથી તેને સંતોષ નથી.
પહેલા તબક્કાની એપ્રિલ અને બીજા તબક્કાની જૂનમાં પરીક્ષા
જેવી રીતે બે વખત પરીક્ષા લેવાશે. એવી જ રીતે બે વખત પરિણામ પણ જાહેર કરવામાં આવશે. પહેલા તબક્કાની પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનમાં અને બીજા તબક્કાની પરીક્ષાનું જૂન મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે CBSE દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવે આખા વર્ષમાં માત્ર એકવાર આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે.
આપણ વાંચો ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું
રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે જે શાળાઓ શિયાળા દરમિયાન બંધ રહે છે, તેઓને બે પૈકી કોઈ એક તબક્કામાં પરીક્ષા આપવાની સુવિધા આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિની ભલામણો પ્રમાણે CBSEએ આ નિર્ણય લીધો છે. જેનો હેતુ પરીક્ષાનો તણાવ ઓછો કરવાનું અને વિદ્યાર્થીઓને વધારે શિખવાની તક આપવાનો છે.