
કાઠમંડુ: પતંજલિ યોગપીઠના નેપાળમાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી સાથે સંબંધિત કથિત જમીન કૌભાંડ કેસમાં નેપાળ(Patanjali Land Scam in Nepal)ના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ (Madhav Kumar Nepal) વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી ધ કમિશન ઓફ ઇન્ક્વાયરી ઇનટુ એબ્યુઝ ઓફ ઓથોરિટી (CIAA) દ્વારા નોંધવામાં આવ્યો છે.
નોંધવામાં આવેલ કેસમાં માધવ કુમાર નેપાળ અને અન્ય 93 લોકોનું નામ છે. માધવ કુમાર નેપાળ CPN-યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના પ્રમુખ છે. CIAAએ દાખલ કરેલી ચાર્જશીટમાં પતંજલિના વડા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનના નામનો ઉલ્લેખ નથી.
આરોપ લગાવવામાં આવ્યો છે કે પતંજલિ યોગપીઠના કાવેર જિલ્લામાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી માટે જમીન ખરીદવામાં ગેરરીતી આચરવામાં આવી હતી. CIAA એ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. CIAA એ ચાર્જશીટ પણ દાખલ કરી છે.
માધવ નેપાળની દલીલ:
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ નેપાળે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છે.
માધવ નેપાળ મે 2009 થી ફેબ્રુઆરી 2011 સુધી નેપાળના વડા પ્રધાન પદ પર રહ્યા હતાં. માધવ નેપાળે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન કેપી ઓલીએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે અને ઓલી તેમને રાજકીય રીતે સમાપ્ત કરવા માંગે છે.
ચાર્જશીટમાં શું આરોપ લગાવવામાં આવ્યા?
ચાર્જશીટ મુજબ, જ્યારે માધવ નેપાળ નેપાળના વડાપ્રધાન હતા, ત્યારે તેમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠકમાં જમીન ટોચમર્યાદા કાયદો નાબૂદ કરવામાં આવ્યો હતો. આ પછી, પતંજલિને જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બે મહિના પછી બીજો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના કારણે પતંજલિને વ્યાપારીક રીતે જમીન વેચવાની મંજૂરી મળી હતી.
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનું નામ નહીં:
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પતંજલિના વડા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનના નામનો ઉલ્લેખ નથી. જોકે, તેમાં પતંજલિ-નેપાળના ડિરેક્ટર શાલિગ્રામ સિંહનું નામ છે. ચાર્જશીટમાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન પ્રેમ બહાદુર સિંહ, દમ્બર શ્રેષ્ઠ અને ભૂતપૂર્વ મુખ્ય સચિવ માધવ પ્રસાદ ઘિમિરેનું પણ નામ છે.
આ પણ વાંચો….નેપાળમાં રાજશાહી અને હિન્દુ રાષ્ટ્રના દરજ્જાને મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતર્યા