ટોપ ન્યૂઝનેશનલ

વક્ફ બિલને કેબિનેટે આપી મંજૂરી, બજેટ સત્રના બીજા તબક્કામાં આવી શકે છે બિલ…

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ દ્વારા વકફ સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સુધારાઓને 19મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે.

Also read : દેશમાં Waqf Boardએ આટલી મિલકતો પર કર્યો ગેરકાયદે કબજો, સરકારે સંસદમાં આપી જાણકારી

સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અહેવાલના આધારે વકફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ 13મી ફેબ્રુઆરીએ બજેટ સત્રના પ્રથમ તબક્કામાં વકફ બિલ પર JPC રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષે આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો. આ પછી સંસદમાં હોબાળો થયો હતો.

27મી જાન્યુઆરીએ વકફ (સંશોધન) બિલની તપાસ કરતી JPCએ ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. JPCની બેઠકમાં 44 સંશોધન પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ NDA સાંસદોના નેતૃત્વમાં 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા. જ્યારે વિપક્ષના સંશોધનને સદંતર નામંજૂર કરવામાં આવ્યા હતા.

13 ફેબ્રુઆરીએ બીજેપી સાંસદ મેઘા કુલકર્ણીએ આ રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કર્યો હતો અને જેપીસી અધ્યક્ષ અને બીજેપી સાંસદ જગદંબિકા પાલે આ રિપોર્ટ લોકસભામાં રજૂ કર્યો હતો. વિપક્ષે બંને ગૃહોમાં આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમનો આરોપ છે કે તેમની અસહમતીને જેપીસી રિપોર્ટમાં સામેલ કરવામાં આવી નથી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ રિપોર્ટ ખોટો છે. જેમાં વિપક્ષના અસહમતિને કાઢી નાખવામાં આવી છે. આ ગેરબંધારણીય છે.

આ વક્ફ શું છે?

ભારતમાં મોટા ભાગના લોકોએ વક્ફ વિશે સાંભળ્યું છે પણ વક્ફ શું છે તેની ખબર નથી. છેલ્લાં કેટલાંક વરસોથી ભાજપ સહિતનાં હિંદુવાદી સંગઠનો વક્ફનો મુદ્દો ઉઠાવ્યા કરે છે તેથી આ મુદ્દો મુસ્લિમો સાથે સંકળાયેલો છે તેની મોટા ભાગનાં લોકોને ખબર છે પણ ખરેખર વક્ફ શું છે અને વક્ફ એક્ટમાં ફેરફારથી દેશને શું ફરક પડશે તેની મોટા ભાગનાં લોકોને જાણ નથી. મુસ્લિમોને પણ વક્ફ એક્ટમાં ફેરફારની એમના પર શું અસર પડશે – એમની ધાર્મિક સ્થળોની સ્થિતિને શું અસર પડશે એ વિશે કંઈ જ ખબર નથી ત્યારે વક્ફ વિશે જાણવું જરૂરી છે.

ભારતમાં શિયા અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે અને દરેક રાજ્યમાં પાછાં અલગ અલગ વક્ફ બોર્ડ છે. ‘વક્ફ’ એક ઈસ્લામની પરંપરા મનાય છે. રેલવે અને સંરક્ષણ મંત્રાલય પછી વક્ફ બોર્ડ ભારતમાં સૌથી વધુ જમીન માલિક છે. વક્ફ અરબી શબ્દ ‘વકુફા’ એટલે કે કાયમી રહેઠાણ પરથી ‘વકફ’ શબ્દ આવ્યો છે. ઈસ્લામની પરંપરામાં વક્ફ લોક કલ્યાણને સમર્પિત દાનમાં અપાયેલી મિલકત છે. દાનની એક પદ્ધતિ એવી વક્ફ પરંપરા હેઠળ દાતા કોઈ પણ પ્રકારની મિલકત દાન કરી શકે છે. જન કલ્યાણના હેતુ માટે આ દાન આપવામાં આવે એ મુખ્ય શરત છે અને આવા દાતાને ’વકીફ’ કહે છે. દાનમાં આપેલી મિલકતમાંથી થતી આવકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે એ દાતા નક્કી કરી શકે છે.

ભારતમાં ઇસ્લામના આગમન સાથે વક્ફનું પણ આગમન થયું. વક્ફ મિલકતોનો લેખિત ઉલ્લેખ દિલ્હી સલ્તનતના સમયમાં પણ મળે છે. મોટા ભાગના મુસ્લિમ બાદશાહોએ વક્ફ મિલકતો બનાવી. બાદશાહોએ બનાવેલી મસ્જિદો, ઈદગાહો, મકબરા વગેરે તમામ વક્ફ કહેવાતા. તેમના સંચાલન માટે સ્થાનિક સ્તરે વ્યવસ્થા સમિતિઓની રચના કરવામાં આવતી.

ભારતને ૧૯૪૭માં આઝાદી મળી ત્યારે દેશભરમાં હજારો વક્ફ પ્રોપર્ટી હતી. આ વક્ફ પ્રોપર્ટીના સંચાલન માટે માળખું બનાવવાની હિલચાલ શરૂ થઈ અને ૧૯૫૪માં સંસદે વકફ એક્ટ ૧૯૫૪’ પસાર કરીને રાષ્ટ્રીય સ્તરે વક્ફ બોર્ડની રચના કરી. વક્ફ બોર્ડ એક પ્રકારનાં ટ્રસ્ટ છે કે જેના તાબા હેઠળ તમામ વક્ફ પ્રોપર્ટી મૂકવામાં આવી હતી. ૧૯૫૫માં વક્ફના કાયદામાં સુધારો કરીને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. ૧૯૯૫માં નવો વક્ફ બોર્ડ કાયદો આવ્યો કે જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી. ૨૦૧૩માં તેમાં સુધારા કરીને વકફ બોર્ડને વધારે મજબૂત કરાયાં.

વક્ફ મિલકતોના વહીવટ માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે, જે વક્ફ સંબંધિત મુદ્દાઓ પર ભારત સરકારને સલાહ આપે છે. રાજ્ય સ્તરે રાજ્યનાં વક્ફ બોર્ડ કાર્યરત છે. મોટા ભાગનાં રાજ્યોમાં વક્ફ બોર્ડના ચેરમેનની ચૂંટણી થાય છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા બે સભ્યની નિમણૂક કરવામાં આવે છે. મુસ્લિમ ધારાસભ્યો, મુસ્લિમ સાંસદો, મુસ્લિમ નગર નિયોજકો, મુસ્લિમ વકીલો અને મુસ્લિમ બૌદ્ધિકો પણ વક્ફ બોર્ડના સભ્યો હોય છે.

બોર્ડમાં સર્વે કમિશનર પણ હોય છે જે મિલકતોનો હિસાબ જાળવે છે. મોટા ભાગના કિસ્સામાં રાજ્ય સરકાર મુસ્લિમ આઈએએસ અધિકારીને બોર્ડના સભ્ય બનાવે છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આ અધિકારી બોર્ડના નિર્ણયોનો અમલ કરે છે.

Also read : ગુજરાતમાં Waqf Board પાસે અધધધ સંપત્તિઓ, સૌથી વધુ અમદાવાદમાં

વક્ફ માટે અપાતી સંપત્તિનો ઉદ્દેશ લોકો માટે તેનો ઉપયોગ થાય એ હોય છે એવું ઈસ્લામના વિદ્વાનો કહે છે, પણ ભારતમાં વક્ફની સંપત્તિ કોઈ પણ ઉદ્દેશ વિના પડી રહે છે એ જોતાં આ ઉદ્દેશ પાર પડતો નથી. ભારતમાં શિયાઓ અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે કે જેમની પાસે દેશભરમાં પુષ્કળ મિલકતો છે. ભારતમાં તમામ રાજ્યનાં વક્ફ બોર્ડ પાસે કુલ ૮,૭૨,૨૯૨ મિલકતો છે. ૮ લાખ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી વક્ફની સંપત્તિમાંથી ઘણી ઇમારતો ભારત માટે સાંસ્કૃતિક વારસા જેવી છે. આ તમામ સંપત્તિનો લોકોના ભલા માટે ઉપયોગ થાય તો વરસે અબજો રૂપિયાની કમાણી થઈ શકે પણ અત્યારે વાર્ષિક માત્ર રૂ. ૨૦૦ કરોડની કમાણી થાય છે. આ સ્થિતિ બદલવા માટે પણ વક્ફ બોર્ડના કાયદામાં ફેરફાર જરૂરી છે અને એ જ દિશા તરફ મોદી સરકાર પગલાં ભરી રહી છે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button