દિલ્હી બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષના પ્રિયજને ગુમાવ્યો જીવ, કહ્યું વિશ્વાસ નથી નથો…

નવી દિલ્હી: સોમવાર, 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ પર થયેલા કાર વિસ્ફોટે રાજધાની સહિત આખા દેશને દહેશતમાં મૂકી દીધું છે. હ્યુન્ડાઈ આઈ-20 કારમાં થયેલા ધડાકામાં 9 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાએ બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષને પણ આધાતમાં મુકી દિધી છે, કેમ કે આ હુમલામાં તેણે પોતાની શાળીની ફ્રેન્ડ સુનીતા મિશ્રાને ગુમાવી છે.
ઉલ્લેખનીય છે કે, પાયલ ઘોષ આ ઘટનાથી ગહન દુ:ખમાં છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટના એક અઠવાડિયા પહેલા જ સુનીતા સાથે વાતચીત થઈ હતી. તેણે કહ્યું, “હજુ વિશ્વાસ નથી થતો કે તે હવે નથી. સુનીતા હમેશા પોતાની આજુબાજું સકારાત્મકતા ફેલાવતી હતી. તે એટલી દયાળુ વ્યક્તિ હતી કે તેની સાથે આ ઘટના બનવી અસ્વાભાવિક લાગે છે.
પાયલે વધુમાં કહ્યું, “ તે માત્ર મારી ફ્રેન્ડ ન હતી, પણ મારો પરિવાર હતી. અમે સાથે મોટા થયા, સપના જોયા, હસ્યા રમ્યા અને એક બીજાનું સ્ટ્રગલ પણ જોયું. તેને આ રીતે ગુમાવવું… મારી પાસે શબ્દો નથી.” તેણે લોકોને પીડિત પરિવારોની મદદ માટે એકજુટ થવા અપીલ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મૃતકોના પરિવારોને 10 લાખ અને ગંભીર ઘાયલોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
મુખ્યમંત્રીએ X પર લખ્યું, “આ કપરા સમયમાં દિલ્હી સરકાર પીડિત પરિવારો પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરે છે.” કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના મુખ્ય શહેરોમાં સુરક્ષા વધારવા આદેશ આપ્યો છે. તપાસમાં જમ્મુ-કાશ્મીરથી આતંકી સંબંધોની શંકા ઊભી થઈ છે.



