ઓડિશામાં ભાજપની જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને અટકળો તેજ
![After BJP's victory in Odisha, speculations about the Chief Minister's post are on the rise](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/ODISHA-CM.webp)
નવી દિલ્હી : 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામોથી ભાજપને સંતોષજનક સ્થિતિ નથી મળી પરંતુ ઓડિશામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ઓડિશામાં બે દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ઓડિશાની કુલ 147 સીટ પર ભાજપ 78 સીટ જીતી મળી છે, જ્યારે સત્તામાં આવવા માટે 74 સીટ જરુરી છે. એનાથી વિપરીત 51 સીટ બીજુ જનતા દળને મળી છે. કોંગ્રેસ પાર્ટીને 14 બેઠક મળી છે.
ઓડિશામાં ભાજપની જીત બાદ હવે કોણ મુખ્યપ્રધાન પદની ધુરા સંભાળશે તેને લઈને ભારે અટકળોએ ચર્ચા જગાવી છે. ઓડિશામાં ભાજપે લોકસભા અને વિધાનસભા બંનેમાં વિજય મેળવ્યો છે અને વડાપ્રધાન મોદીએ પણ તેમના ભાષણમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં પણ ઓડિશામાં 10 મી જૂને ભાજપના નવા મુખ્યમંત્રી બનશે તે વાતને કહી ચૂક્યા છે. તો વળી આજે બુધવારે ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે જણાવ્યું હતું કે આ અંગે પાર્ટીનું સંસદીય બોર્ડ એક બે દિવસમાં નિર્ણય લેશે.
2000 (માર્ચ)થી સત્તામાં રહેલા નવીન પટનાયકની ઓડિશામાં મજબૂત પકડ હતી, તેથી લાંબા સમયગાળા સુધી શાસન કર્યું હતું. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ દાવો કર્યો હતો કે નવીન પટનાયકની સરકારે રાજ્યમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો. હવે એવું કહેવાય છે કે પીએમની લોકપ્રિયતાને કારણે ઓડિશામાં ભાજપને બહુમતી મળી છે.