દિલ્હીમાં ફટાકડા ફૂટ્યા તો ભાજપના નેતા ખુશ થયા, કહ્યું હિંદુઓને બદનામ કરવાનું કાવતરું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. આમ છતાં ગત રાત્રે દિલ્હી-એનસીઆરના લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જેને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. દિવાળીની રાત્રે આતશબાજીના કારણે સોમવારની સવારે સમગ્ર દિલ્હીમાં ધુમ્મસની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. જોકે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની અવગણના કરીને ફટાકડા ફોડવા અંગે ભાજપના નેતાઓએ ખુશી વ્યકત કરી છે.
દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગે કહ્યું કે આ સ્વતંત્રતા અને લોકશાહીનો અવાજ છે. કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દિલ્હીવાસીઓ પર ગર્વ છે. આ પ્રતિકારના અવાજો, સ્વતંત્રતા અને લોકશાહીના અવાજો છે. લોકો બહાદુરીપૂર્વક અવૈજ્ઞાનિક, અતાર્કિક, સરમુખત્યારશાહી પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. હેપ્પી દિવાળી.’
તે જ સમયે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ દિલ્હીની હવાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. ટીએમસી સાંસદે ભાજપના સાંસદો અને પ્રધાનો પર રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે લખ્યું, ‘છેલ્લા 6 કલાકથી સતત આતશબાજી કરવા બદલ દિલ્હી (ખાસ કરીને બીજેપી સાંસદો અને નજીકમાં રહેતા પ્રધાનો)નો આભાર. પાટનગરની મધ્યમાં સત્તાધારી પક્ષના નેતાઓ જ પ્રતિબંધનો ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે પ્રતિબંધ લાદવાનો અર્થ સમજાતો નથી. AQI 999 પર પહોંચી ગયો છે. આનાથી આગળ, મશીન પણ ગણતરી કરી શકતું નથી.
તેમણે કહ્યું, ‘આશા છે કે, લોકોને પીડામાં મુક્યા બાદ આ તહેવારની મોસમ ભાજપના નેતાઓ માટે થોડી વધુ સુખદ બની જશે.’
આ દરમિયાન ભાજપના નેતા અમિત માલવિયાએ આ દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક્સ પર લખ્યું કે, ‘દિવાળી પહેલા અને પછી AQI નિયંત્રણમાં છે. પત્રકારો સહિત કેટલાક લોકો નકલી ડેટા ફરતા કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીના કેટલાક ભાગોમાં AQI 999 છે. આ માટે ફટાકડાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તેઓ જાણીજોઈને હિન્દુઓને બદનામ કરવા માટે આવું કરી રહ્યા છે.’