બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ

પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે એનડીએ જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. જયારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે તમામ 101 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. જેમાં પક્ષના 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાય શકે છે. જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.
બિહારમાં એનડીએ સત્તામાં આવશે
આ ઉપરાંત બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે ભાજપ સોમવારે સાંજે ઉમેદવારોની જાહેરાત શરૂ કરશે. પટનામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધને બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. તેમજ ફરી એકવાર બિહારમાં એનડીએ સત્તામાં આવશે.
સાથી પક્ષોમાં નારાજગીનો ઇનકાર
તેમણે બેઠક વહેંચણી અંગે સાથી પક્ષોમાં નારાજગીનો ઇનકાર કરતા કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે એકજૂથ થઈને ચૂંટણી લડીશું. બિહારના મંત્રી નીતિન નવીને બેઠક વહેંચણી પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું, જો નીતિ સાચી હોય, ઈરાદો સાચો હોય અને નેતૃત્વ સક્ષમ હોય, તો યોગ્ય સમયે નિર્ણયો લેવામાં આવે છે.
એનડીએની બેઠક વહેંચણી ફોર્મ્યુલા
બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી. જેમાં ભાજપ 101 બેઠક અને નીતિશ કુમારની જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડશે. જયારે ચિરાગ પાસવાનના નેતુત્વવાળી એલજેપીને 29, આરએલએમને 06 અને એચએએમને 06 બેઠક ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ચર્ચાનો દોર શરૂ! અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક