તમિલનાડુ દીક્ષાંત સમારોહ વિવાદઃ ભાજપના અન્નામલાઇએ ડીએમકે પર આકરા પ્રહાર…

નવી દિલ્હીઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા કે. અન્નામલાઇએ તમિલનાડુની મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એક વિદ્યાર્થિનીએ રાજ્યપાલ પાસેથી ડિગ્રી સ્વીકારવાનો ઇનકાર કર્યાની ઘટના બાદ આજે તામિલનાડુની શાસક દ્રવિડ મુન્નેત્ર કઝગમ(ડીએમકે)ની ટીકા કરી હતી, કારણ કે આ વિદ્યાર્થીની ડીએમકે નેતા એમ. રાજનની પત્ની પણ છે.
અન્નામલાઇએ એક્સ પર જણાવ્યું કે સદીઓથી ડીએમકે સભ્યો દ્વારા પાર્ટીની અંદર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કરીને કરવામાં આવતા નિંદનીય નાટકો સખત નિંદાને પાત્ર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય પ્રધાને તેમના પક્ષના સભ્યોને ડીએમકેના ગંદા રાજકારણને શૈક્ષણિક સંસ્થાઓમાં ન લઇ જવાની સલાહ આપવી જોઇએ. તમિલનાડુમાં ડીએમકેના સમર્થકો કરતાં તેને નાપસંદ કરનારાઓની સંખ્યા વધુ છે. જો તેઓ પણ આવો જ વ્યવહાર કરશે તો મુખ્ય પ્રધાન તેનો ચહેરો ક્યાં છુપાવશે?
આ ઘટના મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટી(એમએસયુ)ના ૩૨મા દીક્ષાંત સમારોહ દરમિયાન બની હતી. જ્યાં વિદ્યાર્થીઓ તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ પાસેથી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે કતારમાં ઉભા હતા.
જીન જોસેફ નામની એક વિદ્યાર્થીનીએ રાજ્યપાલનું અપમાન કરીને તેમની બાજુમાં ઉભેલા કુલપતિ ચંદ્રશેખર પાસેથી ડિગ્રી સ્વીકારવાનું પસંદ કર્યું હતું. આ વિદ્યાર્થીની ડીએમકે નેતા એમ. રાજનની પત્ની છે.
સમારોહ બાદ પત્રકારો સાથે વાત કરતાં જીન જોસફે જણાવ્યું કે રાજ્યપાલ આર. એન. રવિ તમિલનાડુ અને તમિલોના હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. હું તેમની પાસેથી ડિગ્રી સ્વીકારવા ઇચ્છતી ન હતી.