લોકસભાની પરિણામ બાદ બિહારના રાજકારણમાં ફરી થશે ઉથલપાથલ? નીતિશની ગાદી છે ખતરામાં

પટનાઃ દેશમાં સૌથી વધારે રાજકીય ગરમાવો જ્યા આવતો હોય તે રાજ્ય છે બિહાર. થોડા મહિનાઓ પહેલા જ અહીં ભાજપ અને જેડીયુએ ગઠબંધન કરી નવી સરકાર રચી. નીતિશ કુમારે નવમી વખત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે હવે ફરી અહીંના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને લોકસભાના પરિણામો બાદ બિહારમાં ફરી નવીજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Lok Janshakti Party (લોજપા) રામવિલાસ પાસવાનના પ્રમુખ ચિરાગ પાસવાનને બિહારના આગાલ મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એનડીએના બીજા એક સાથી હમ પક્ષના નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિતન રામ માઝીએ તાજેતરમાં ચિરાગને બિહારનું ભવિષ્ય કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અમે દિલ્હી જઈને અહીંની સ્થિતિ વિશે જમાવશું અને ચિરાગ બિહારનું ભવિષ્ય બની શકે તે સમજાવશું. તેમના આ નિવેદન બાદ જેડીયુમાં ભૂકંપ આવ્યો છે. નીતિશની પાર્ટી હાલમાં તો કંઈ બોલી રહી નથી, પરંતુ સૌને ચિરાગનું વધતું કદ અકળાવી રહ્યું છે.
ALSO READ: લોકસભા ચૂંટણીઃ હવે JDUનો નંબર, 16 ઉમેદવારના નામની યાદી જાહેર કરી
ચિરાગને ઘણા સમયથી રાજયના રાજકારણમાં વધારે સક્રિય બનાવવાની વાતો ચાલી રહી છે. ચિરાગ અગાલ સીએમ એવા પૉસ્ટર પણ લાગ્યા છે. તેવામાં માઝીનું નિવેદન બળતામાં ઘી હોમવા જેવું છે. હાલમાં લોકસભાની ચૂંટણી હોવાથી ભલે મામલો ઠંડો રહે, પણ એકવાર પરિણામો આવે ત્યાર બાદ એનડીએના પક્ષોમાં જ ખેંચતાણની સંભાવના છે.
નીતિશ કુમારે ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી રાષ્ટ્રીય રાજનીતિમાંથી ફરી બિહારની રાજનીતિમાં જ અડ્ડો જમાવી રાખવાનું મન બનાવી લીધું હશે, આવનારા સમયમાં કે આવનારી ચૂંટણીમાં તેની ગાદી અને તેના પક્ષનો દબદબો ખતરામાં હોવાનું કહેવાય છે.