
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. પીએમ મોદીએ આ દરમિયાન કરકટમાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે જ્યારે હું બિહાર આવ્યો હતો ત્યારે મેં વચન આપ્યું હતું કે જેમણે દીકરીઓના સિંદૂરને ઉજાડયા છે તેમને અમે માટીમાં મેળવી દઇશું. હવે હું મારું વચન પૂર્ણ કરીને પાછો આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈ ન તો અટકી છે કે ન તો અટકશે.
હું મારું વચન પૂરું કરીને આવ્યો છું
આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે પહલગામમાં એક આતંકવાદી હુમલો થયો. જેમાં ઘણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા. આ જઘન્ય આતંકવાદી હુમલાના એક દિવસ પછી હું બિહાર આવ્યો હતો અને મેં બિહારની ધરતી પરથી દેશને વચન આપ્યું હતું, મેં પ્રતિજ્ઞા લીધી હતી, અમે બિહારની ધરતી પર લોકોની આંખોમાં આંખ નાખીને કહ્યું હતું. આતંકના આકાઓના કેમ્પોને તોડી પાડવામાં આવશે. મેં બિહારની ધરતી પર કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આજે જ્યારે હું બિહાર આવ્યો છું, ત્યારે હું મારું વચન પૂરું કરીને આવ્યો છું.
સેનાએ આતંકી કેમ્પોને ખંડેરમાં ફેરવી દીધા
આ લોકોએ પાકિસ્તાનમાં બેસીને આપણી બહેનોના સિંદૂર ઉજાડયા છે. આપણી સેનાએ આતંકી કેમ્પોને ખંડેરમાં ફેરવી દીધા છે. આ નવું ભારત છે. આ નવા ભારતની તાકાત છે.ભારતે તો હજુ એક જ તીર માર્યું છે. તેમણે કહ્યું, બિહાર વીર કુંવર સિંહજીની ભૂમિ છે. અહીં હજારો યુવાનો દેશની સુરક્ષા માટે પોતાના યુવાનોનું બલિદાન આપે છે. ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ આપણા સૈન્ય દળોની અભૂતપૂર્વ પરાક્રમ જોયું. આપણી સરહદો પર તૈનાત બહાદુર સૈનિકો સુરક્ષાનો અભેદ્ય કિલ્લો છે.
અમારી લડાઈ દેશના દરેક દુશ્મન વિરુદ્ધ
પીએમ મોદીએ કહ્યું કે, હું બિહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું. હું બિહારની ભૂમિ પરથી પુનરાવર્તન કરવા માંગુ છું કે દુશ્મને ઓપરેશન સિંદૂરમાં ભારતની શક્તિ જોઈ છે. દુશ્મને સમજવું જોઈએ કે ભારતે માત્ર એક તીર માર્યું છે. આતંકવાદ સામે ભારતની લડાઈ ન તો અટકી છે કે ન તો અટકશે. જો આતંકવાદનો ગઢ ફરી ઉભો થશે તો ભારત તેને ફરી ધ્વસ્ત કરશે. અમારી લડાઈ દેશના દરેક દુશ્મન વિરુદ્ધ છે. તે પછી ભલે તે સરહદ પાર હોય કે દેશની અંદર હોય.
આપણ વાંચો: સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે શશી થરૂરને ટ્રોલ કર્યા બાદ કોંગ્રેસે કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર વિવાદ
શાંતિ હોય છે ત્યારે જ વિકાસનો માર્ગ ખુલે છે
વડા પ્રધાન મોદીએ કહ્યું, બિહારના લોકો સાક્ષી છે કે આપણે છેલ્લા વર્ષોમાં હિંસા અને અશાંતિ ફેલાવનારાઓનો કેવી રીતે સફાયો કર્યો છે. થોડા વર્ષો પહેલા સુધી સાસારામ, કૈમૂર અને આસપાસના જિલ્લાઓમાં શું પરિસ્થિતિ હતી. નક્સલવાદ કેટલો પ્રબળ હતો. આ લોકોને બાબા સાહેબના બંધારણમાં કોઈ વિશ્વાસ નહોતો. વર્ષ 2014 પછી અમે આ દિશામાં વધુ ઝડપથી કામ કર્યું. અમે માઓવાદીઓને તેમના કાર્યોની સજા આપવાનું શરૂ કર્યું. જ્યારે શાંતિ હોય છે ત્યારે જ વિકાસનો માર્ગ ખુલે છે.