બિહારમાં ગરમીનો પ્રકોપ, શાળામાં વિદ્યાર્થીઓ બેહોશ

પટણાઃ દેશભરમાં આકરી ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન, જે 50 ડિગ્રી (49.9 ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે. ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. ઘણા રાજ્યોમાં શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલુ છે. બુધવારે, બિહારના બેગુસરાય અને શેખપુરામાં લગભગ કેટલીક સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ હોવાની માહિતી મળી છે.
બુધવારે મતિહાની પોલીસ સ્ટેશન વિસ્તારની મતિહાની મિડલ સ્કૂલમાં લગભગ એક ડઝન વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઇ હતી. શાળા પ્રશાસન દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબોની દેખરેખમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે ભારે ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઇ હતી. જો આવી ગરમીમાં બાળકો આમ જ બહાર જતા રહેશે તો કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી, એમ જણાવતા શિક્ષકોએ પણ કહ્યું હતું કે બાળકો સ્કુલ કેમ્પસમાં જ બેભાન થઈને પડ્યા હતા. શિક્ષકોના આ નિવેદન બાદ અફતાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો : ઉફ ઉફ ગરમી! હવે તો વકીલોએ પણ માગી કાળા કોટ પહેરવામાંથી મુક્તિ
આ ઘટના બાદ શિક્ષકોમાં ભારે ગુસ્સો છે. શિક્ષકોનું કહેવું છે કે જ્યારે તાપમાન 45 ડિગ્રીની આસપાસ છે, આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે ત્યારે મુખ્ય અધિક સચિવ કે કે પાઠકના તુઘલખી ફરમાનના કારણે બાળકો અને શિક્ષકોને શાળાએ આવવાની ફરજ પડી રહી છે. શિક્ષકોએ પાઠકના આ નિર્ણયને તાલિબાની નિર્ણય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો શિક્ષણ વિભાગ હજુ પણ પોતાનો નિર્ણય નહીં બદલે તો કોઈપણ અનિચ્છનીય ઘટના માટે અધિકારી પોતે જ જવાબદાર રહેશે.
નોંધનીય છે કે સમગ્ર ઉત્તર ભારતમાં આકાશમાંથી આગ વરસી રહી છે. રસ્તા પર નીકળતા લોકો મરી રહ્યા છે અને હવામાન વિભાગે પણ જ્યારે બિનજરૂરી ઘરની બહાર ના નીકળવાની અપીલ કરી છે, ત્યારે બિહારના શિક્ષણ વિભાગના સ્કૂલ ચાલુ રાખવાના તાલિબાની નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. ભારે ગરમી વચ્ચે શાળાઓ ચાલુ છે અને બાળકોનો જીવ જોખમમાં છે. દરરોજ બાળકો અને શિક્ષકોની તબિયત બગડતી હોવાના અહેવાલો આવે છે, પરંતુ શિક્ષણ વિભાગના એડિ. મુખ્ય સચિવ કે કે પાઠક પોતાના નિર્ણય પર અડગ છે.