બિહાર ચૂંટણી: ઇવીએમમાં ‘અનિયમિતતાઓ’ મુદ્દે આરજેડી આક્રમક, કોર્ટમાં જઈ શકે

પટણાઃ બિહાર જનાદેશ લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતો નથી તેમ જ પાર્ટી ‘ઇવીએમમાં અનિયમિતતાઓ’ને લઇને કોર્ટના શરણે જઇ શકે છે. આ દાવો બિહાર વિધાનસભા ચૂંટણીમાં 143 બેઠક પર ચૂંટણી લડીને માત્ર 25 બેઠક મેળવનાર વિપક્ષી પક્ષ આરજેડીએ કર્યો હતો.
આ ચૂંટણીમાં માત્ર આરજેડી જ નહીં પરંતુ તેના નેતૃત્વ હેઠળના સમગ્ર વિપક્ષી જૂથને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ 243 સભ્યોની વિધાનસભામાં 202 બેઠક જીતીને વિજયી બન્યું હતું અને સત્તામાં પાછું આવ્યું હતું.
આપણ વાચો: 20મી નવેમ્બરે બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ કાર્યકમ યોજાઈ શકે!
આરજેડી પ્રવક્તા શક્તિ સિંહે જણાવ્યું કે બિહાર ચૂંટણીનો જનાદેશ જમીની પરિસ્થિતિ સાથે મેળ ખાતો નથી. સરકાર પ્રત્યે લોકોમાં રોષ હોવા છતાં તેમને આટલો જનાદેશ મળ્યો છે. લોકો અને રાજનેતાઓ આને પચાવી શકતા નથી. ચૂંટણી લડનારા તમામ આરજેડી ઉમેદવારો બેઠકમાં હાજર રહ્યા હતા. જે પૈકીના એક ઉમેદવારે કહ્યું કે પાર્ટી કોર્ટમાં જવા અંગે વિચાર કરી રહી છે.
વરિષ્ઠ નેતા અને પાર્ટીના રાજ્ય એકમના ભૂતપૂર્વ પ્રમુખ જગદાનંદ સિંહે આરોપ લગાવ્યો કે મતદાન શરૂ થતાં પહેલા જ દરેક ઇવીએમમાં 25,000 મત હતા અને તેમ છતાં પણ અમે ૨૫ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે.



