બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કેટલું કાઠું કાઢશે?

મુજ્જફરપુર: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. નીતિશ કુમારના જનતા દળ (યુ)ને હંફાવવા માટે ઘણા રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. જન સુરાજ પક્ષ પણ આવા રાજકીય પક્ષો પૈકીનો એક પક્ષ છે. પ્રશાંતિ કિશોર તેના સ્થાપક છે. શનિવારે ચૂંટણી પ્રચાર માટે પ્રશાંત કિશોર મુજ્જફરપુર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, “આ વખતે બિહારમાં જનતા રાજ સ્થપાવું જોઈએ, નહીં કે લાલુ, નીતિશ કે મોદીનું રાજ.”
નેતાઓનો ચહેરો જોઈને મત આપશો નહીં: પ્રશાંત કિશોર
જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર બિહાર બદલાવ યાત્રા લઈને મુજ્જફરપુર પહોંચ્યા હતા. મુજ્જફરપુરના ઓરાઈ ખાતે પહોંચેલા પ્રશાંત કિશોરનું તેમના સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ઓરાઈની મટિહાની હાઈસ્કૂલના મેદાનમાં પ્રશાંત કિશોરે જનસભાનું સંબોધન કર્યું હતું.
પોતાના સંબોધનમાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, “મોંઘવારી ચાલી રહી છે, તેમ છતાં નીતિશ કુમાર ફક્ત 400 રૂપિયા પેન્શન આપે છે. જન સુરાજ પક્ષ ડિસેમ્બર 2025થી 60 વર્ષથી વધુ વયના દરેક પુરૂષ અને મહિલાને દર મહિને 2000 રૂપિયા પેન્શન આપશે. આ વર્ષે છઠ પછી બિહારના યુવાનોને 10-12 હજાર રૂપિયાની મજૂરી કરવા માટે પોતાનું ઘર અને પરિવાર છોડીને જવું નહીં પડે”
શિક્ષણ અંગે પોતાના સંબોધનમાં પ્રશાંત કિશોરે જાહેરાત કરતા જણાવ્યું કે, “જ્યાં સુધી સરકારી શાળાઓમાં સુધારો નહીં આવે, ત્યાં સુધી તમે તમારા 15 વર્ષથી ઓછી વયના બાળકોને ખાનગી શાળામાં ભણાવજો, તેની ફી સરકાર ચૂકવશે. જેથી ગરીબના બાળકો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણી શકે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, “તમારા બાળકોને લૂંટવાવાળા નેતાઓને મત ન આપો. આગામી સમયમાં બાળકો માટે મત આપો અને બિહારમાં જનતાનું રાજ સ્થાપીત કરો. બિહારમાં વ્યવસ્થા પરિવર્તન કરીને જનતા રાજ સ્થાપીત કરવા માટે નેતાઓનો ચહેરો જોઈને મત આપશો નહીં. લાલુ, નીતિશ અને મોદીના ચહેરા પર નહીં, ચૂંટણીમાં પોતાના બાળકોનો ચહેરો જોઈને મત આપજો. આગામી સમયમાં પોતાના બાળકોની શિક્ષા અને રોજગારી માટે મત આપજો.”
હવે ફેક્ટરી ગુજરાતમાં નહીં, બિહારમાં શરૂ થવી જોઈએ
બિહારમાં રોજગારીને લઈને પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, “મત બિહારના લોકોનો છે, તેથી ફેક્ટરી પણ બિહારમાં શરૂ થવી જોઈએ. ફેક્ટરી ગુજરાતમાં શરૂ થવી જોઈએ કે બિહારમાં…” પ્રશાંત કિશોરના પ્રશ્નના જવાબમાં લોકોએ કહ્યું હતું કે, હવે ફેક્ટરી ગુજરાતમાં નહીં, બિહારમાં શરૂ થવી જોઈએ. પ્રશાંત કિશોરે પૂછ્યું કે, શું તેઓ નીતિશ કુમારને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા માંગે છે અથવા તેમને વિદાય આપવા માંગે છે. ત્યારે સભામાં હાજર લોકોએ હાથ ઉંચો કરીને કહ્યું હતું કે, તેઓ નીતિશ કુમારને વિદાય આપવા માંગે છે.
પ્રશાંત કિશોરે સંબોધનનના અંતે કહ્યું હતું કે, આ વખતે વડા પ્રધાન મોદી પણ નીતિશ કુમાર માટે મત માંગે તો પણ તેમને મત આપવો જોઈએ નહીં, આ વખતે બિહારમાં જનતા રાજ સ્થપાવું જોઈએ, નહીં કે લાલુ, નીતિશ કે મોદીનું રાજ.”
પ્રખર રાજનીતિજ્ઞ છે પ્રશાંત કિશોર
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરે કૉંગ્રેસ અને ભાજપ બંને માટે ચૂંટણીની રણનીતિ બનાવવાનું કામ કર્યું છે. 2014માં પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણી જીતાડવામાં મદદ કરી હતી. 2021માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તેમણે તૃણમુલ કૉંગ્રેસ માટે રણનીતિ બનાવી હતી. જેના કારણે તૃણમુલ કૉંગ્રેસની ભવ્ય જીત થઈ હતી. 2018માં તેઓ જનતા દળ(યુ)માં જોડાયા હતા. પરંતુ હવે તેમણે જન સુરાજ પક્ષની સ્થાપના કરી છે. આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે.
આપણ વાંચો : પ્રશાંત કિશોર બેભાન થઇ પડી ગયા! જાણો ગઈ કાલના નાટકીય ઘટનાક્રમ વિષે