આ નંબરથી વોટ્સએપ કોલ આવે ચેતી જજો; પાકિસ્તાની એજન્ટોની નવી ચાલ

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે, ભારતે હાલ પાકિસ્તાન સામે કાર્યવાહી સ્થગિત કરી છે, જો પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી કરવામાં આવશે તો વળતો જવાબ આપવામાં આવશે, એવું ભારતીય સેનાએ જણાવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન બીજી રીતે ભારતને નુકશાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચેતવણી જાહેર કરી છે.
ચેતવણીમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાની ઈન્ટેલીજન્સ ઓપરેટીવ્સ (PIO) ભારતીય નાગરિકો અને ખાસ કરીને પત્રકારોને ભારતીય મોબાઇલ નંબર +91 7340921702 પરથી ફોન કરી રહી છે. આ કોલ્સમાં, પોતાને ભારતીય સંરક્ષણ અધિકારીઓ તરીકે રજૂ કરીને સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર અને ભારતીય લશ્કરી મથકો પર પાકિસ્તાનના તાજેતરના હુમલાઓ વિશે માહિતી એકત્રિત કરવાના હેતુથી કોલ કરવામાં આવી રહ્યા છે. ફોન કરનાર શખ્સ હિન્દી કે અંગ્રેજીમાં વાત કરે છે અને પોતાને ભારતીય સેના અથવા ગુપ્તચર વિભાગના અધિકારી ગણાવે છે. તે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસપાત્ર રીતે વાતચીત કરે છે જેથી સામેવાળો તેના પર વિશ્વાસ કરે.
જો તમને આ નંબર 7340921702 પરથી કોઈ રીતે સંપર્ક કરવામાં આવે અથવા કોઈ શંકાસ્પદ વોટ્સએપ/કોલ આવે, તો તાત્કાલિક કોલ ડિસ્કનેક્ટ કરો અને સાઈબર સેલને જાણ કરો. તમારા સોર્સ અથવા માહિતી કોઈ સાથે શેર ન કરો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ જાસૂસી કોલ્સમાં નોંધપાત્ર વધારો થયો છે.