કાવેરી જળ વિવાદ મુદ્દે આજે બેંગલુરુ બંધ, સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ, શાળા-કોલેજો બંધ

કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ઘણા વર્ષોથી ચાલ્યો આવતો કાવેરી નદીના પાણીનો વિવાદ ફરીથી વકર્યો છે. તાજેતરમાં જ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કર્ણાટક સરકારને 15 દિવસ સુધી તમિલનાડુ માટે પાંચ હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ કર્ણાટક સરકારે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે ઓથોરિટીના આદેશમાં દખલ કરવા ઇનકાર કર્યો હતો. કોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
કાવેરીનું પાણી પડોશી તમિલનાડુ માટે છોડવાના વિરોધમાં કર્ણાટકમાં એક અગ્રણી ખેડૂત સંઘે બંધનું આહ્વાન કર્યું છે. જેના કારણે આજે બેંગલુરુમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની સંભાવના છે. પોલીસે સમગ્ર શહેરમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી છે અને પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યની રાજધાની બેંગલુરુમાં વિરોધ રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
કર્ણાટક મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે બંધ પર નિયંત્રણ નહીં રાખીએ, એ તેમનો અધિકાર છે. તેમણે ભાજપ અને જેડીએસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એક ખેડૂત આગેવાને કહ્યું હતું કે જો સરકાર તરફથી તેમના વિરોધનો યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ વિરોધને સમર્થન આપ્યું છે.
બેંગલુરુ બંધને ધ્યાનમાં રાખીને રાજ્યની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓએ રજા જાહેર કરી છે. ઓટો-ટેક્સી યુનિયનોએ પણ તેમનો સંપૂર્ણ ટેકો આપ્યો છે, અને એસટી સ્ટાફ અને વર્કર્સ ફેડરેશને પણ પરિવહન નિગમના કર્મચારીઓને બંધ દરમિયાન સેવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. દરમિયાન, ઓલા-ઉબેર ડ્રાઇવર્સ એસોસિએશન અને હોટેલ ઓનર્સ એસોસિએશને જાહેરાત કરી કે તેઓ આજના બેંગલુરુ બંધને સમર્થન નહીં આપે.
કન્નડ કાર્યકર્તા વટલ નાગરાજની આગેવાની હેઠળના સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ના નેજા હેઠળ 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ હજુ એક રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.