શોકિંગઃ બેંગલુરુમાં આઈટી દરોડા પૂર્વે કોન્ફિડન્ટ ગ્રુપના માલિકે કર્યો આપઘાત

બેંગલુરુ: કોન્ફિડન્ટ ગ્રુપના માલિક સીજે રોયે આત્મહત્યા કરી તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. સીજે રોયે બેંગલુરુમાં આવેલી તેમની ઓફિસમાં જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મળતી જાણકારી પ્રમાણે સીજે રોય મૂળ કેરળના રહેવાસી હતા. તેમણે કોન્ફિડન્ટ ગ્રુપ નામની એક રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીને તેમણે સફળતા શિખરો સર કરાવ્યા હતા, પરંતુ હવે તેમણે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આપણ વાચો: લાતુર પાલિકાના કમિશનરનો માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ…
કોન્ફિડન્ટ ગ્રુપના માલિકે કેમ આત્મહત્યા કરી?
ઘટનાની વાત કરવામાં આવે તો, સીજે રોયે અનેપાલ્યામાં આવેલી તેમની ઓફિસમાં જ આત્મહત્યા કરી લીધી છે. અશોકનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સીજે રોયની ઓફિસ પર આજે જ ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યાં હતા, અને પૂછપરછ શરૂ કરી હતી. તો શું આ આત્મહત્યાનું કારણ હોઈ શકે? જોકે, આ માત્ર પ્રાથમિક કારણ છે,સાચી હકીકત જાણવા માટે અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાચો: Iran માં સુપ્રીમ કોર્ટના બે જજની જાહેરમાં ગોળી મારીને હત્યા, હુમલાખોરે પણ આત્મહત્યા કરી…
ઈન્કમ ટેક્સની ટીમના પહોંચ્યા પૂર્વે રોયે આત્મહત્યા કરી
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ડિસેમ્બર મહિનાથી ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સીજે રોયની સંપત્તિની તપાસ ચાલી રહી હતી. આ તપાસ બાદ આજે સીજે રોયની ઓફિસ પર ઈન્કમ ટેક્સની ટીમ પૂછપરછ કરવા માટે જવાની હતી.
જોકે, ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ સીજે રોયે જાતે જ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સીજે રોય આત્મહત્યા કરી ત્યારે આવકવેરાની ટીમ ઓફિસની બિલ્ડિંગમાં હતી,પરંતુ જ્યા રોયે આત્મહત્યા કરી તે રૂમમાં કોઈ અધિકારી ગયા નહોતા તેવું સૂત્રોએ જણાવ્યું છે.
સીજે રોયે પોતાને ગોળી મારી તેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં હતાં. જેથી સત્વરે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, તબીબોએ સીજે રોયને મૃત જાહેર કરી દીધા હતા. હવે આ કેસમાં અશોકનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



