
નવી દિલ્હી: ભારત માટે આજનો ઐતિહાસિક દિવસ છે. આજે અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે. 1984માં રાકેશ શર્મા બાદ તેઓ અવકાશમાં પહોંચનાર બીજા ભારતીય હશે. Axiom-4 મિશન આજે બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ થશે.
Axiom-4 મિશન ખાનગી કંપની એક્સઓમ સહિત નાસા, ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ મિશના યાયલટ ભારતીય મૂળના શુભાંશુ શુક્લા છે. તેમની સાથે પેગી વ્હિટસનના નેતૃત્વમાં પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રી પણ સામેલ છે. આ મિશનમાં સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પણ લોન્ચ થશે. જ્યારે આ મિશન લોન્ચ થયાના 28 કલાક બાદ ગુરુવારે સાંજે 4:30 કલાકે સ્પેસક્રાફ્ટ ISS સાથે ડોક થશે.
ઉલ્લેખનીય છે કે, આ મિશન સાત વખત સ્થગિત થયું. આ મિશન પોસપોન થવાનું મુખ્ય કારણે ફાલ્કન 9 રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીક અને ISS ઝવેઝદા (Zvezda) મોડ્યૂલમાં દબાણની સમસ્યા હતી. જ્યારે હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો હોવાથી આ મિશન આજે ઉડાન ભરશે. ચાર સભ્યોની ટીમ 14 દિવસ સુધી ISS પર રહેશે અને 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાં ઇસરોના સાત પ્રયોગોનો સમાવેશ થાય છે.
લોન્ચિંગ પહેલાં શુભાંશુએ કહ્યું, “આ મિશન ભારત માટે ગૌરવની ક્ષણ છે. હું દેશવાસીઓને આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.” તેમનો અનુભવ ભારતના ગગનયાન મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.