Himanta Sarma: ‘2026 સુધીમાં આસામમાંથી કોંગ્રેસ ખતમ થઇ જશે’, સીએમ હિમંતા સરમાની ચેતવણી

ગુવાહાટી: આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સામે આક્રમક વલણ દાખવ્યું છે, તેઓ વારંવાર રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો કરવામાં અંગે વાત કરતા રહે છે. એવામાં તેમના દાવો કર્યો છે કે વર્ષ 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસનો કોઈ નેતા નહીં બચે.
તેમણે કહ્યું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાજપમાં જોડાશે, દેશનીની સૌથી જૂની પાર્ટી 2026 સુધીમાં આસામમાં ખતમ થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા જાન્યુઆરી 2025માં ભાજપમાં જોડાશે. મેં તેમના માટે 2 મતવિસ્તાર નક્કી કર્યા છે. બધા નેતાઓ અમારા હાથમાં છે. જ્યારે જરૂર પડશે ત્યારે હું તેમને ભાજપમાં લાવીશ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધકારમય સરમાએ કહ્યું કે, ‘કોંગ્રેસને મત આપવો એટલે રાહુલ ગાંધીને મત આપવો; ભાજપને મત આપવાનો અર્થ છે નરેન્દ્ર મોદીને મત આપવો.
જેઓ નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે અને માને છે કે ભારત ‘વિશ્વગુરુ’ બનશે તેઓ આ લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપશે. જે લોકો રાહુલ ગાંધી પર વિશ્વાસ રાખે છે તેઓ જાણે છે કે તેમનું ભવિષ્ય અંધકારમય છે. તેમનું ભવિષ્ય પણ અંધકારમય છે, પરંતુ તેમના અનુયાયીઓનું ભવિષ્ય વધુ અંધકારમય છે.”
નોંધનીય છે કે હિમંતા બિસ્વા સરામા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ, સપ્ટેમ્બર 2015માં ભાજપમાં જોડાયા હતા અને મે 2021માં તેઓ આસામના મુખ્ય પ્રધાન બન્યા હતા.
સરામાએ કહ્યું કે “છેલ્લા દોઢ મહિનામાં, તમે કોંગ્રેસમાં મોટું ધોવાણ જોયું છે, ઘણા કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો ભાજપ અને AGP (આસોમ ગણ પરિષદ) માં જોડાયા છે. મારું માનવું છે કે 2026 સુધીમાં આસામમાં થોડાક નાના પ્રદેશો સિવાય કૉંગ્રેસ પક્ષની કોઈ જગ્યા નહીં રહે.’
આસામના લખીમપુર જિલ્લાના નૌબોઇચાના વિધાનસભ્ય ભરત ચંદ્ર નારાએ સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, તેમની પત્નીને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન અપાતા તેમણે રાજીનામું આપ્યું હતું. બે દિવસ પહેલા કોંગ્રેસે ઉદય શંકર હજારિકાને લખીમપુર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.
નારાને આશા હતી કે કોંગ્રેસ તેમની પત્ની અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાની નારાને આ બેઠક પરથી ટિકિટ આપશે. રાની નારા ત્રણ વખત લખીમપુરથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.