નેશનલ

પહલગામ હુમલો: આસામમાં ૮૧ ‘દેશવિરોધીઓ’ની ધરપકડ, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ બદલ કાર્યવાહી

ગુવાહાટીઃ એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આસામમાં રાષ્ટ્રવિરોધી હોવાના આરોપસર વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ પ્રકારની ધરપકડનો કુલ આંક ૮૧ થયો છે. આ જાણકારી આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રવિવારે આપી હતી.

મુખ્ય પ્રધાન સરમાએ એક્સ પર જણાવ્યું કે સોનિતપુર અને કામરૂપ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ ૮૧ રાષ્ટ્રવિરોધીઓ હવે જેલના સળિયા પાછળ છે… આપણી સિસ્ટમ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ્સ પર સતત નજર રાખી રહી છે અને કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: હાફિઝ સઈદ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે દેખાયો, પાક. સરકારનો આતંકીઓને ખુલ્લો ટેકો!

અગાઉ વિપક્ષી એઆઇયુડીએફ ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાન અને તેની સંડોવણીનો બચાવ કરવા બદલ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન મળ્યા બાદ ઇસ્લામની ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા(એનએસએ) હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

૨ મેના રોજ સરમાએ જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ૨૨ એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ મુખ્ય પર્યટન સ્થળ પર હુમલો કર્યો હતો. જેમાં ૨૬ લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button