પંજાબમાં ફરજ પર જતા ASI ની ગોળી મારીને હત્યા…
![ASI shot dead while on duty in Punjab](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Mumbai-Samachar-by-Jignesh-2023-11-17T181204.892.jpg)
નવી દિલ્હી: 17 નવેમ્બરના રોજ એટલે કે આજે અમૃતસરમાં પંજાબ પોલીસના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પોલીસ અધિકારીની ઓળખ એએસઆઈ સરૂપ સિંહ તરીકે થઈ છે. સરૂપ સિંહ નવાદા પિંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સરૂપ સિંહ ગુરુવારે રાત્રે 9 વાગે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને તેના અડધા કલાક પછી જ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ફોન સ્વીચ ઓફ થતાં પહેલાં તેમણે છેલ્લી વાર તેના પરિવાર સાથે વાત કરી હતી.
સરૂપ સિંહ તેમની શિફ્ટ માટે જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ડીએસપી સુચા સિંહે જણાવ્યું હતું કે આ હત્યા પાછળ કોઈ રાજકીય પાસું નથી પરંતુ આ અંગત દુશ્મનીની ઘટના છે.
જો કે ડીએસપીના નિવેદન બાદ પણ સરૂપ સિંહની હત્યાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ હત્યાને લઈને વિરોધ પક્ષો રાજ્ય સરકાર અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ પોલીસ અધિકારીની હત્યાને અત્યંત ચિંતાજનક ગણાવી હતી અને મુખ્ય પ્રધાન ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભગવંત માન જી પંજાબે તમને કેજરીવાલના ડ્રાઇવરની ભૂમિકા ભજવવા માટે નહીં, પણ જવાબદારી પૂર્વક કામ કરવાની જવાબદારી સોંપી છે. કેજરીવાલના એજન્ડા માટે પંજાબના હિત સાથે સમાધાન ના કરવું જોઇએ.
અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ પોલીસ કર્મચારીના મૃત્યુ માટે મુખ્ય પ્રધાનને જવાબદાર ગણાવ્યા હતા અને એક્સ પર લખ્યું હતું કે મુખ્ય પ્રધાન તમને શરમ આવવી જોઈએ.