
નવી દિલ્હી: સોમવારે મોડી રાત્રે ઇથિયોપિયાના હાયલી ગુબ્બી જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટથી ઊઠેલી રાખ ભારતમાં પણ વિખેરાઈ છે. હવામાન નિષ્ણાતો દ્વારા આ વાદળ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. લાલ સાગર પાર કરીને આ રાખના ગોટેગોટા 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આગળ વધી રહ્યા હતા.
સૌપ્રથમ, આ વાદળ પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેર પરથી પસાર થયા, અને ત્યારબાદ તે ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઈ ગયા. આ રાખ જમીનથી લગભગ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, તેથી તત્કાળ જનતાના સ્વાસ્થ્ય પર મોટો ખતરો જણાતો નથી. જોકે, કેટલીક જગ્યાએ રાખનું હળવું પડ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે મંગળવારની સવારનો સૂર્ય રાખના કણોને કારણે પ્રકાશના વિવર્તનને લીધે અલગ અને વધુ તેજસ્વી રંગમાં દેખાઈ શકે છે.
જ્વાળામુખીની રાખની સૌથી મોટી અસર વિમાનની ઉડાન પર જોવા મળી છે. રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને ઉડાનની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઈન્સ માટે એડવાઇઝરી જાહેર કરી છે. એરલાઈન્સને રાખ પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા, ઉડાન માર્ગોમાં ફેરફાર કરવા અને મુસાફરી દરમિયાન કોઈપણ અસામાન્ય પ્રદર્શનની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

પરિણામે, આકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી મોટી એરલાઇન્સે સોમવારે તેમની કેટલીક ફ્લાઇટ્સ રદ કરી હતી અથવા તેમના રૂટ બદલ્યા હતા. એર ઇન્ડિયા અને આકાસા એર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
જ્યાં એક તરફ નિષ્ણાતો માને છે કે રાખનો વાદળ ઊંચાઈ પર હોવાથી જમીન પરની હવાની ગુણવત્તા (AQI) પર કોઈ ખાસ અસર નહીં પડે, ત્યાં બીજી તરફ દિલ્હી-એનસીઆરના વિઝ્યુઅલ્સ ઝેરી સ્મોગની ગંભીર સ્થિતિ દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના આંકડા મુજબ, આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 402 નોંધાયો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
એમ્સ અને સફદરજંગ હોસ્પિટલની આસપાસ પણ AQI 323 હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. આ સ્તરે હવા શ્વાસ લેવા માટે અત્યંત જોખમી બની જાય છે. જોકે, મેટસ્કાઇ વેધરના મતે, આ રાખનો વાદળ મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ (Sulfur Dioxide) નો બનેલો છે અને તેનું પ્રમાણ વાતાવરણના મધ્ય-સ્તરે છે. તેથી, સપાટી પર હવાના પ્રદૂષણમાં વધારો થવાની સંભાવના ખૂબ ઓછી છે.
ઇથિયોપિયાના આ જ્વાળામુખી વિસ્ફોટની અસર માત્ર ભારત પર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહી છે. જ્વાળામુખીની રાખના કારણે ઓમાન-અરબ સાગરના રસ્તે ઉત્તર અને મધ્ય ભારત સુધી વાદળો ફેલાયા છે. આ વાદળનો અમુક ભાગ હિમાલય ક્ષેત્ર અને નેપાળ તરફ પણ આગળ વધશે, જેનાથી આ વિસ્તારોમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે. સૌથી મોટો ફટકો ઇથિયોપિયાના સ્થાનિક સમુદાયોને પડ્યો છે, જ્યાં અનેક ગામો રાખના જાડા સ્તરથી ઢંકાઈ ગયા છે. આનાથી ખેતી અને પશુપાલન પર જોખમ વધી ગયું છે, જે લોકોની આજીવિકાને સીધી અસર કરી રહ્યું છે. નિષ્ણાતો આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.



