સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?

લખનઉઃ ઉત્તર પ્રદેશના સંભલમાં મળી આવેલા પ્રાચીન મંદિર મામલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું હતું. મુખ્ય પ્રધાને 46 વર્ષથી બંધ રહેલા મંદિરને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શું વહીવટીતંત્રે રાતોરાત સંભલમાં આવું પ્રાચીન મંદિર બનાવ્યું? શું બજરંગબલીની આવી પ્રાચીન મૂર્તિ ત્યાં રાતોરાત આવી ગઇ? આ સાથે તેમણે વર્ષ 1978માં થયેલા રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય પ્રધાન આદિત્યનાથે આજે જણાવ્યું કે મંદિર રાતોરાત ફરીથી પ્રગટ થયું નથી અને આ “આપણો કાયમી વારસો અને આપણા ઇતિહાસનું સત્ય”નું પ્રતિનિધિત્વ કરે છે.
સત્યને દબાવવાનો પ્રયાસ
મહાકુંભ પર એક ખાનગી કાર્યક્રમને સંબોધતા મુખ્ય પ્રધાન આદિત્યનાથે સંભલમાં 46 વર્ષ પહેલાં થયેલા રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે, “નરસંહારના ગુનેગારોને દાયકાઓ પછી પણ કેમ ન્યાય આપવામાં આવ્યો નથી? તેમણે એ લોકોની ટીકા કરી હતી જેઓ કુંભ જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોને ધૂમિલ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું હતું કે સત્યના અવાજોને વારંવાર ધમકીઓ અને તેમને ચૂપ કરવાના પ્રયાસોનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : …તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App
મંદિર રાતોરાત પ્રગટ થયું નથી
એક સત્તાવાર નિવેદન અનુસાર મુખ્ય પ્રધાને સંભલમાં એ મંદિર અંગે વાત કરી હતી જેને સ્થાનિય વહીવટીતંત્ર દ્ધારા અતિક્રમણ વિરોધી અભિયાન બાદ દાયકાઓ પછી તાજેતરમાં ખોલવામાં આવ્યું હતું. તેમણે મંદિરના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂક્યો જેમાં બજરંગ બલીની પ્રાચીન મૂર્તિ અને એક શિવલિંગ સામેલ છે. તેમણે કહ્યું હતું કે “આ મંદિર રાતોરાત પ્રગટ થયું નથી. તે આપણો સ્થાયી વારસો અને આપણા ઇતિહાસની સત્યતાનું પ્રતિનિધિત્વ કરે છે.
મહાકંભુમાં 40 કરોડ લોકો આવશે
મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે 45 દિવસના પ્રયાગરાજ મહાકુંભમાં (13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી) 40 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે જ્યારે 100 કરોડ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે નવ નવેમ્બર 2019ના રોજ શ્રી રામ જન્મભૂમિ પર આપવામાં આવેલા ઐતિહાસિક સુપ્રીમ કોર્ટના ચુકાદાએ દાયકાઓ જૂનો વિવાદ ઉકેલી દીધો હતો પરંતુ તેમ છતાં કેટલાક લોકો ચુકાદો આપનારા જજોને ધમકાવી રહ્યા છે.