અમિત શાહ મોટા અધિકારીઓને કરી રહ્યા છે દબાણ : જયરામ રમેશ
![Amit Shah is putting pressure on big officials: Jairam Ramesh](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Jairam-Ramesh.webp)
દેશમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે દેશના તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ માહોલની વચ્ચે કોંગ્રેસમાં મહાસચિવ જયરામ રમેશે આરોપ કર્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યા છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘વર્તમાન ગૃહમંત્રી આજ સવારથી જિલ્લા કલેક્ટરોની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે. સરકારી અધિકારીઓને આવી રીતે ખુલ્લી રીતે ધમકાવવાના પ્રયત્નો ખૂબ જ શરમજનક છે અને અસ્વીકાર્ય છે. યાદ રાખજો કે લોકશાહી જનાદેશથી ચાલે છે, ધમકીઓથી નહીં.
આ પણ વાંચો : Election 2024: મીસા ભારતી સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પર હુમલો, એકની ધરપકડ
તેમણે એમ પણ કહ્યું હતું કે 4 જૂનના જનાદેશ અનુસાર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સત્તાથી બહાર થઈ જશે અને INDIA વિજયી થશે. અધિકારીઓએ કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવું જોઈએ તેમજ સંવિધાનનું રક્ષણ કરવું જોઈએ.
અત્યાર સુધીમાં દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને સાત તબક્કાઓમાં મતદાન થયું હતું. ત્યારબાદ એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ અને તેમનું ગઠબંધન બહુ બેઠકો મળે તેવી સંભાવના છે.