આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત

નવી દિલ્હીઃ પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સેનાની પ્રશંસા કરી હતી.
ગૃહ પ્રધાને ઓપરેશન સિંદૂરને ઉલ્લેખ કરીને કહ્યું, આપણે પાકિસ્તાનને પદાર્થપાઠ ભણાવ્યો છે. બીએસએફ અને સેનાએ દુનિયા સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે, બીએસએફે આતંકવાદ વિરોધી અભિયાનોમાં હિસ્સો લીધો છે અને તેને પૂરું પણ કર્યું છે. નકસલવાદ, આતંકવાદ કે પછી ઉત્તર-પૂર્વમાં શાંતિ સ્થાપવાની હોય બીએસએફ સારી રીતે જવાબદારી નીભાવી છે. બીએસએફ અને સેનાએ તાજેતરમાં જ દુનિયા સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે.
આપણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું, ઓપરેશન સિંદૂર પીએમ મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ, સેનાની મારક ક્ષમતાના કારણે સારી રીતે પાર પડ્યું હતું. પાકિસ્તાન વર્ષોથી આપણા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતું હતું પરંતુ તેમને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો.
2014 બાદ ઉરી હુમલાનો બદલો સર્જિકલ સ્ટ્રાઈકથી લીધો હતો. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકી અડ્ડા તબાહ કર્યા હતા. પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછીને મહિલાઓની સામે ગોળી મારવામાં આવી હતી. તે સમયે બિહારથી પીએમ મોદીએ કહ્યું કે, આનો જવાબ આપવામાં આવશે.
આ ઉપરાંત અમિત શાહે કહ્યું, આપણું ઓપરેશન એટલું સચોટ હતું કે સેનાની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આપણી સેનાએ 100 કિમી અંદર ઘૂસીને પાકિસ્તાનની જમીન પર આ પરાક્રમ કર્યું તેનો ગર્વ છે. જ્યારે યુદ્ધની જાહેરાત નહોતી થઈ ત્યારે બીએસએફના જવાનોએ ગોળીનો જવાબ ગોળાથી આપ્યો હતો અને એક ઈંચ પણ પાછા નહોતા હટ્યા. બીએસએફે બતાવી દીધું કે તેઓ જ્યાં સુધી છે ત્યાં સુધી પાકિસ્તાન એક ઈંચ પણ જમીન લઈ શકશે નહીં.