ભારત-પાક યુદ્ધવિરામમાં અમેરિકાનો કોઈ હાથ નથી, ભારતે ફરી સ્પષ્ટતા કરી

નવી દિલ્હી: ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે વારંવાર કરવામાં આવતા દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને ન્યૂયોર્કની એક કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શક્ય બન્યું હતું, અને જો આ ‘શક્તિ’ ને મર્યાદિત કરવામાં આવે તો કરાર તૂટી શકે છે. ભારતે આ દલીલોને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
ટેરિફના મુદ્દાનો ક્યારેય ઉલ્લેખ થયો નથી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ અંગેની ચર્ચાઓમાં ટેરિફનો ક્યારેય ઉલ્લેખ થયો નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, “અમે તમને આ મુદ્દે ફરી એકવાર અમારી સ્થિતિ સ્પષ્ટ કરવા માંગીએ છીએ. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી 10 મેના રોજ પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ ત્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ હતી. આ ચર્ચાઓમાં ટેરિફના મુદ્દાનો ક્યારેય ઉલ્લેખ થયો નથી.”
આ પણ વાંચો: પાકિસ્તાને બે વાર યુદ્ધવિરામની માંગ કરી! ઓપરેશન સિંદૂરમાં 160 આતંકવાદીના મોતનો દાવો
એસ. જયશંકરે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી
રણધીર જયસ્વાલે એમ પણ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત પછી જ યુદ્ધવિરામ કરાર પર સહમતિ બની હતી. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તર પર થયેલી વાતચીત પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમેરિકી અદાલતમાંથી ટ્રમ્પને ઝટકો
જોકે, અમેરિકાની અદાલતે ટ્રમ્પની તમામ દલીલોને ફગાવી દીધી છે. કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વ્યાપકપણે લાદવામાં આવેલા ટેરિફને પ્રભાવિત થવાથી રોકતા ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. અદાલતે કહ્યું કે રાષ્ટ્રપતિએ ટેરિફ લગાવવા માટે તેમના બંધારણીય અધિકારોની સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં નાના વ્યવસાય કરનારા કેટલાક વેપારીઓએ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ આ મુકદ્દમો દાખલ કર્યો હતો.