નેશનલ

‘આ સરકાર ચાલવા વાળી નહીં, પણ પાડવા વાળી છે’, અખિલેશ યાદવે લોકસભામાં સરકારને ઘેરી

નવી દિલ્હી: સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભા(Loksabha)ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે લોકસભા કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. એવામાં આજે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના યુપીના કનૌજથી લોકસભા સાંસદ અખિલેશ યાદવે(Akhilesh Yadav) પણ સરકાર પર પ્રહારો કર્યા છે.

લોકસભામાં અખિલેશ યાદવનો શાયરના અંદાજ

અખિલેશ યાદવે લોકસભામાં કાવ્યાત્મક શૈલીમાં વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે “હુઝુર-એ-વાલા આજ તક ખામોશ બૈઠે ઇસી ગમમેં, મહફિલ લૂટ લે ગયા કોઈ જબકી સજાઈ હમને.”

અખિલેશ યાદવે કહ્યું કે આ સરકાર ચાલવા વાળી સરકાર નથી પડવા વાળી સરકાર છે. મનમરજી નહિ ચાલે, જનમરજી ચાલશે. ચૂંટણીમાં બંધારણના રક્ષકોની જીત થઈ છે. દેશ કોઈની મહત્વકાંક્ષાથી નહીં ચાલે. ચૂંટણી દરમિયાન 400થી વધુનો નારા આપવામાં આવ્યો હતો. પહેલીવાર એવું લાગે છે કે પરાજિત સરકાર સત્તા પર છે.


….તો પણ EVM પર વિશ્વાસ નહીં કરું


તેમણે લોકસભામાં કહ્યું કે “મને ઈવીએમ પર વિશ્વાસ નથી. જો હું ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો જીતીશ તો પણ ઈવીએમ પર કોઈ ભરોસો નહીં રહે.”

અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે આ ચૂંટણીમાં સાંપ્રદાયિક રાજનીતિની હાર થઈ છે. સરકાર કહે છે કે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, પરંતુ માથાદીઠ આવક ક્યાં પહોંચી છે તે સરકાર કેમ છુપાવે છે. હંગર ઈન્ડેક્સમાં આપણે ક્યાં ઊભા છીએ?

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે યુપીમાં તમામ પેપર લીક થઈ ગયા છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં બાળકો પેપર આપવા ગયા, પરંતુ પેપર લીક થઈ ગયું. NEETનું પેપર પણ લીક થયું. આખરે શું થઈ રહ્યું છે? સરકાર પેપર લીક કરી રહી છે કારણ કે તે નોકરીઓ નથી આપવા માંગતી.

સપા પ્રમુખ અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અનામત સાથે રમત રમાઈ રહી છે. અમે જાતિ આધારિત વસ્તી ગણતરીના પક્ષમાં છીએ કારણ કે તેના વિના સામાજિક ન્યાય શક્ય નથી. અગ્નિવીર યોજના લાગુ કરીને દેશની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે.

અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ એ સંજીવની છે અને તેની જીત થઈ છે. પ્રજાએ સરકારનું અભિમાન તોડી નાખ્યું છે. બનારસમાં લોકો ક્યોટોના ફોટા શોધી રહ્યા છે કે ક્યારે ગંગા સાફ થશે, અને બનારસ ક્યોટો બનશે. આ ચૂંટણીમાં વિભાજન કરનારી રાજનીતિ હારી જાય છે અને જે રાજનીતિ એક કરે છે તે જીતે છે. યુપીમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button